નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન પ્રકરણ - 20


“ઈતને રૂપયોમેં તો મૈં સિકંદર કી તસવીર ભી નહીં બૈચતી!” - જોહરાબાઈ ( મુકદ્દર કા સિકંદર )

“ મારા બે જ દોષો છે. એક, હું અમિતાભ બચ્ચન છું તે. બીજો દોષ, હું દેશનાં વડાપ્રધાન રાજીવ ગાંધીનો મિત્ર છું તે.”

થોડુંક આશ્ચર્ય અને ઘણો બધો આઘાત લાગે તેવું, આ વિધાન અમિતાભે દાયકાઓ પૂર્વે એક પત્રકાર સાથેની મુલાકાતમાં કર્યું હતું. સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ માટે જે મુદ્દાઓ સૌથી મોટા સદ્દગુણો કહેવાય તે જ બે મુદ્દાઓને એમણે પોતાના માટે દોષરૂપ ગણાવ્યા હતાં. શા માટે?

છેક 1969થી લઈને આજ સુધી ભારતભરમાં એવી દંતકથા પ્રચલિત થઈ રહી છે કે અમિતાભને હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ મળ્યો એની પાછળ ગાંધી-નહેરુ પરિવાર સાથેની નિકટતા કારણભૂત બની હતી. એ વખતનાં વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની ભલામણ ચિઠ્ઠીનાં કારણે જ ખ્વાજા અહેમદ અબ્બાસે આ કઢંગા દેખાતા પાતળા અને લાંબા યુવાનને એમની નિર્માણાધીન ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં એક મહત્વનું પાત્ર આપવાનું નક્કી કર્યું હતું.

આજે આ ઘટના સાથે સંકળાયેલા ત્રણ પાત્રમાંથી બે તો હયાત નથી. શ્રીમતી ઈન્દિરાજી અને અબ્બાસ સાહેબ અવસાન પામ્યાં છે. અમિતાભ બચ્ચન એકલા હયાત છે. માટે આપણે શું કરવું? તેઓ જે કંઈ કહે તેને આંખો મીંચીને માની લેવું? સફળતાનાં સર્વોચ્ચ શિખર પર બિરાજ્યા પછી કોઈપણ વ્યક્તિ ક્યારેય પાયામાં ધરબાયેલી ઈંટોને યાદ કરે છે ખરી? અમિતજી પણ ક્યાંક ઈન્દિરાજીની બાબતમાં નામક્કર જતા હોય તેવું ન હોઈ શકે?

------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------

અમિતાભનાં First breakની હકીકત

એવું નથી કે આવા સવાલો મને આજે ફૂટી રહ્યાં છે. અમિતજી તો પછીથી સુપરસ્ટાર બન્યાં, મારુ ખણખોદીયુ દિમાગ તો કવિ બચ્ચનજી વિષે પણ આવા પ્રશ્નો ઉઠાવતું આવ્યું હતું. આજે પણ ઘણીવાર મને પ્રશ્ન પૂછવાનું મન થાયે છે કે જો બચ્ચનજી તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુનાં અંગત મિત્ર ન હોત તો એમનો આટલો ઉત્કર્ષ થયો હોત ખરો! અલ્હાબાદની કોલેજના અદ્યાપક તરીકેની સાધારણ પગારની નોકરીમાંથી આ કવિજીવ રાતોરાત દિલ્હીમાં વિદેશમંત્રાલયમાં ગોઠવાઈ શક્યા હોત ખરાં? એક અઠવાડિયાની અંદર ત્રણ-ત્રણ વાર સરકારી આવાસોની ફાળવણી એમનાં માટે શક્ય બની હોત ખરી?

માત્ર નહેરુજી જ શા માટે? કવિ બચ્ચનજીને તો એમના સુપુત્ર અમિતાભની સફળતાનો પણ ફાયદો મળ્યો જ હશે ને! ‘ મધુશાલા’ની કવિતાઓ સારી છે, ગુણવત્તાસભર છે એની ના નથી, પણ એ જો હરિવંશરાય બચ્ચનજીનાં બદલે કોઈ આલિયા, માલિયા, જમાલિયાએ લખી હોત તો એને આટલી ખ્યાતિ અને પ્રશંસા મળી હોત ખરી ? ‘ જીવનકી આપાધાપીમેં કબ વક્ત મિલા’ એ નિઃશંક સારી પંક્તિ છે, પણ એના કરતાં સો ગણી ચડીયાતી કાવ્યપંક્તિઓ આપનારા સેંકડો કવિઓ ફાટેલા ઝભ્ભા-લેંઘા અને ઘસાયેલા ચંપલ સાથે જીંદગીનો બોજ ઘસડતા રહ્યા અને પછી ચિતામાં પોઢી ગયાં એનું એક માત્ર કારણ શું એ ન હતું કે એમનો પુત્ર બોલીવુડનો શહેનશાહ ન બની શક્યો? સત્ય એ છે કે આ જગતમાં સફળતા જેવું બીજું કશું જ સફળ નથી હોતું; કોઈ એક માણસની સફળતાનો લાભ એની સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓને મળે જ છે. બિગ-બીનો કૂતરો પિસ્તી પણ હિન્દુસ્તાનભરમાં પ્રખ્યાત બની જાય છે. હજારો લોકો પોતના પાળેલા ડોગીનું નામ પિસ્તી રાખવા માંડે છે. ‘પિસ્તી’ અને ‘પસ્તી’ વચ્ચેનો તફાવત એ એના સ્પેલિંગનો નથી, પણ સફળતા-નિષ્ફળતાનો છે.

તો પછી અમિતાભ બચ્ચન શ્રીમતી ઈન્દિરાજીનાં ભલામણપત્રની વાતનો અસ્વીકાર શા માટે કરતાં હશે?!

------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------

જ્યારે અમિતાભને પિતાનું નામ નડી ગયું હતું....

ખ્વાજા અહેમદ અબ્બાસે તો કોન્ટ્રાક્ટ પેપરમાં લખાયેલું નામ વાંચીને તરત અમિતાભને કદી દીધું, “ શું કહ્યું તે ? બાપનું નામ હરિવંશરાય બચ્ચન છે ? આપણાં દેશનું મોંધેરું રત્ન કવિ બચ્ચનજી તારા પિતા થાય છે? અરે, એ તો મારા મિત્ર છે. મારે તને મારી ફિલ્મમાં લેવો નથી. તુ મને ઘર છોડીને આવેલો ભાગેડુ લાગે છે. તને કામ આપુ તો બે મિત્રો વચ્ચે ગેરસમજ થશે.”

અમિતજી જ્યારે ખૂબ કાલાવાલા કર્યા ત્યારે અબ્બાસ સાહેબે વચલો રસ્તો કાઢ્યો. એક પત્ર એમણે બચ્ચનજીના નામે લખી નાખ્યો, “ ડૉ. બચ્ચનજી, આપનો પુત્ર અભિનેતા બનવા માટે મારી પાસે આવેલ છે. હું તેને કામ આપી શકું છું. એ જો હિંદી ફિલ્મમાં કામ કરે તો તમે નારાજ તો નહીં થાવ ને?”

------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------

અમિતાભના જીવનની આ હકિકત ખોટી છે...

યુવાન અમિતએ પત્ર લઈને દિલ્હી પાછો ફર્યો. થોડા દિવસો બાદ બાબુજીએ મોકલેલો ટેલીગ્રામ કે.એ. અબ્બાસને મળ્યો. એમાં લખ્યું હતું: “ મને કોઈ વાંધો નથી.”

વર્ષો પછી પોતાની આત્મકથામાં અબ્બાસ સાહેબે આ ઘટનાનું વર્ણન કરતાં લખ્યું છે : “It is important to clarity this at length because a lot of ugly rumours have been set about Amitabh and myself. It has been said, for instance, that it was the recommendation letter of the prime minister, Mrs. IndiraGandhi, that got him the role in my picture..” અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી સમજુ છું, કારણ કે મારી અને અમિતાભની બાબતમાં ઘણી બેહુદી વાતો ફેલાવવામાં આવી છે. એવું કહેવાય છે કે મેં એને વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીનાં ભલામણપત્રનાં કારણે મારી ફિલ્મમાં સ્થાન આપ્યું હતું. પણ હું એવા લોકોને કામ નથી આપતો જે ભલામણ પત્રો લઈને આવે છે. અને આ બાબતમાં વડાપ્રધાન મને ન કોઈ પત્ર લખ્યો કે ન કોઈ સંદેશો મોકલ્યો હતો કે હું અમિતાભને મારી ફિલ્મોમાં લઉં.”

અબ્બાસ સાહેબનાં ખુદના હાથે લાખયેલા આ ખુલાસાને વાંચ્યા પછી આપણે સ્વીકારવું પડે કે અફવાઓનો હિમાલય ખોટો અને હકીકતનો રજકણ સાચો.

આજે પણ વિરોધીઓ તો અમિતાભ વિષે મુદ્દાઓ ઊઠાવતા જ રહે છે: “ અમિતાભે કારકિર્દીમાં કાયમ મોટા માણસોનો પગથિયાં તરીકે ઉપયોગ કર્યો છે. પહેલા ઈન્દિરાજી, પછી રાજીવજી, પછી મુલાયમસિંહ અને અમરસિંહ. એક સમયે સહારાના માલિક સુબ્રતો પણ આવ્યાં. અનિલ અંબાણી ખરાં. હવે, જ્યારે આ બધાંમાં તિરાડો પડી ત્યારે અમિતાભે ગુજરાતનાં નાથનું શરણું શોધી લીધું છે.”

આ વાંકદેખાઓને ખામોશ કરી દેવા માટે આ એક જ દલીલ પર્યાપ્ત છે: “ ચાલો, માની લીધું કે અમિતજીને તો બધાં સફળતાની સીડીના પગથિયાં બનાવી લીધા,પરંતુ આ મહાનુભાવોએ શા માટે પગથિયું બનવાનું સ્વીકારી લીધું? આ માટે એમણે માત્ર અમિતજીને જ શા માટે પસંદ કર્યા? શાહરૂખ, સલમાન, આમીર, સંજય દત્તને શા માટે નહીં? અરે, મોહન ચોટી, ધુમાલ કે જ્હોની લીવરને કેમ પસંદ ન કર્યા? એમ કર્યું હોત તો એ બધાં પણ ‘ સ્ટાર ઓફ ધ મિલેનિયમ’ બની ગયાં હોત ને? એટલે બધે દૂર જવાનીયે શી જરૂર છે? હું અને તમે ક્યાં હાજર નથી? મુખ્યમંત્રીશ્રીને આપણો હાથ પકડાવાની સદ્દબુદ્ધિ ભગવાન કેમ નથી આપતા ? તો આપણે પણ બોલીવુડનાં શહેનશાહ બની જઈશું ને? ”

પગથિયાંનું દૃષ્ટાંત આપનારા લોકો એ ભૂલી જાય છે કે બંદેમેં હૈં દમ! જ્યારે અમિતાભ નામનો મણસ ફિલ્મનાં કેમેરા સામે ઊભો રહી જાય છે અને દિગ્દર્શકનો અવાજ ગૂંજે છે: ‘એક્શન’, ત્યાર પછી કોઈ લાગવગ, ભલામણ કે પગથિયું કામમાં નથી આવતાં, ત્યાં જરૂર પડે છે મેધાડંબરની જેમ ગાજતા અવાજની અને છ ફીટ બે ઈંચની કાયામાંથી છલકાતી ટાવરીંગ અભિનય ક્ષમતાની!

માટે જ અમિતજી કહે છે: “ હું તમને ફરીવાર કહું છું કે નહેરુ કુટુંબ સાથે અમારે ઘરોબો છે તે વાતનો અમારામાંથી કોઈએ અસ્વીકાર કર્યો નથી. ભવિષ્યમાં કરીશું પણ નહીં. પણ લાયકાત ન હોવા છતાંય બચ્ચન કુટુંબ ફક્ત સંબંધોનો લાભ લઈને બધા જ પ્રકારની સવલતો મેળવે છે, તે વાત હું બિલકુલ સ્વીકારી શકતો નથી.હું ફક્ત એક જ વાત કહેવા ઈચ્છું છું કે અમારા શરીર પર કપડાં છે તે રહેવા દઈ અમારી પાસે બીજું જે કંઈ છે તે સરકાર છીનવી લે. અમે બધું ફરી મેળવી લઈશું. આ મારી ચેલેન્જ છે.”

------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------

બચ્ચનનું એ પહેલું મુવી...

અમિતને સાત હિન્દુસ્તાનીમાં કામ મળી ગયું. નાનો ભાઈ બંટી પાંચ મિત્રો સાથે કોલાબામાં એક રૂપ ભાડે રાખીને રહેતો હતો; અમિતાભ પણ એમની સાથે રહેવા માટે આવી ગયાં.

ફિલ્મનું શૂટીંગ હજુ શરૂ થયું ન હતું. અમિતજી રોજ સવારે નીકળી પડતાં હતાં. અબ્બાસ સાહેબની ઓફિસમાં જઈને બેસી રહેતા. ત્યાં સ્ક્રિપ્ટ, દૃશ્યો, પ્રસંગો અને બીજી અનેક બાબતોને લઈને આખો દિવસ વિસ્તારપૂર્વક ચર્ચાઓ ચાલ્યા કરતી હતી. અમિતજી માટે દરેક વાત નવી હતી. એકવાર અબ્બાસ સાહેબની સાથે એ પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યુટમાં પણ જઈ આવ્યા. લોકેશન જોવા માટે ગોવા પણ ગયા હતાં. આ બધું એના માટે નવો ઉમંગ, નવો ઉલ્લાસ અને નવો રોમાંચ લઈને આવતું હતું.

પછી એક દિવસ અબ્બાસ સાહેબે જાહેર કર્યું, “બે દિવસ પછી આપણે ગોવા જઈ રહ્યા છીએ. ‘સાત હિન્દુસ્તાની’નું શૂટીંગ શરૂ થવામાં છે. આખું યુનિટ એક સાથે જ પ્રવાસ કરશે. દરેકે પોતાની બેગ અને બિસ્તર સાથે લઈ લેવાનાં રહેશે.”

નિર્ધારિત દિવસે અને સમય સફર શરૂ થઈ. સૌ એક જ ટ્રેનમાં બેસીને નીકળી પડ્યા હતાં. મુંબઈથી બેલગામ અને પછી ગોવા. અબ્બાસ સાહેબ પણ સાથે જ હતાં. યુનિટના દરેક સભ્યે પોતાનો સામાન જાતે જ ઊંચકી લેવાનો હતો.

ફિલ્મનું શૂટીંગ મોટાભાગે ગોવાનાં જંગલોમાં કરવામાં આવ્યું હતું. આ માટે યુનિટને જંગલમાં કોઈ સર્કિટ-હાઉસમાં અથવા ગેસ્ટ હાઉસમાં ઊતારો આપવામાં આવતો હતો. બધાં એક સાથે રહેતા, ખાતા-પીતા અને વાતો કરતા. રાત્રે ભોંય ઉપર પથારી કરીને લંબાવી દેતા. ત્યાં વીજળીની સગવડ ન હતી.પ્રકાશ માટે મીણબત્તી અથવા ફાનસનો ઉપયોગ કરવો પડતો હતો. દરેક જણમાં જબરી સંઘભાવના અને ઉત્સાહ હતાં.

દિવસ આખો તો જંગલમાં રઝળપાટ કરવામાં અને શૂટીંગમાં પસાર થઈ જતો હતો. પણ રાત્રે યુનિટનાં તમામ સભ્યો સાથે બેસીને જમવા માટે એકઠાં થતા હતાં. અમિતાભ ડાઈનિંગ ટેબલ પરથી પંગતમાં કાયમ છેલ્લો બેસતો હતો; કારણ કે એ મોડો પડતો હતો. આનું કારણ આજે પણ યુનિટના સભ્યો ભૂલ્યા નથી. તન તૂટી જાય એટલી મહેનત અને પેટમાં પાણાં પચી જાય એવી ભૂખ પછી પણ અમિતાભ ઊતારા પર આવીને રોજ રાત્રે બે પત્રો અચૂક લખી નાખતાં હતાં. એક પત્ર પોતાની માતા તેજીને અને બીજો પત્ર એ સમયની એમની પ્રેમિકાને. માતાને લખાતાં પત્રમાં અમિતજી પોતાની કલમમાં માતૃભક્તિ અને ફરજની શાહી ભરી લેતા હતાં. અને પ્રેમિકાને પત્ર લખતી વખતે કલમમાં ફૂલોનાં રંગ અને દિલમાંથી ટપકતી લાગણી ઉમેરી દેતા હતાં.

નીરજનાં શબ્દોમાં કહીએ તો: ‘ ફૂલોંકે રંગસે, દિલકી કલમસે તુમકો લિખી રોજ પાતી...’હા, એ પત્રો રોજના એક એ હિસાબથી લખતા હતાં. બાર-બાર, લગાતાર. સતત એક વર્ષ સુધી. જ્યાં સુધી ‘સાત હિન્દુસ્તાની’નું શૂટીંગ ચાલતું રહ્યું ત્યાં સુધી.

કોઈ હતી એ સદભાગી પ્રેમિકા? એ સ્ત્રીએ જો એ તમામ પત્રો આજ સુધી સાચવી રાખ્યા હશે ( અને મને વિશ્વાસ છે કે એણે જરૂર સાચવી રાખ્યા છે.) તો આજે એ સ્ત્રી દુનિયાની સૌથી અમીર સ્ત્રી બની શકે તેમ છે. એક તો આ પત્રો અમિતાભ બચ્ચનનાં હાથે લખાયેલા છે એટલે એની બજાર-કિંમત ‘અધધધ’ બની જાય. બીજું કારણ એ કે અમિતાભજીની લેખનકળા બેમિસાલ છે. એમણે એક અંગ્રેજી મેગેઝીન માટે ફરમાઈશથી લખી મોકલેલા લેખ વાંચીને મેગેઝીનનાં સંપાદક મુગ્ધ બની ઉઠ્યા હતાં. અમિતે પોતાના માતા-પિતાને લખેલા પત્રો પણ પેલા પ્રેમપત્રો કોઈ ઉત્તમ સાહિત્યીક કૃતિથી કમ ન હતાં. આ અર્થમાં પણ પેલા પ્રેમપત્રો બહુમૂલ્ય બની જાય છે.

પણ સાચી પ્રેમિકા હંમેશા વફાદાર હોય છે. પ્રેમીને પામવામાં અસફળ રહ્યા પછી પણ એ પ્રેમીનું એક પણ રહસ્ય છતું કરી દેતી નથી.

------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------- ------ ------

અને અંતમાં...

ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નો એક ડાયલોગ યાદ આવી જાય છે. જ્યારે વિનોદ ખન્ના રેખાનાં કોઠા પર જઈને એને કહે છે સિકંદરના સોદા માટે તારે કેટલા રૂપિયા જોઈએ છે? દસ હજાર વીસ હજાર ? પચાસ હજાર ?

જવાબમાં જોહરાબાઈ બનતી રેખા સણસણતો ડાયલોગ ફટકારે છે: “ ઈતને રૂપયોંમેં તો મૈં સિકંદરની તસવીર ભી નહીં બૈચતી; તુમ સિકંદર ખરીને આયે હો? ”
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!