નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 25

''મોત તો એક કવિતા હૈ, મુઝે સે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝકો...''- આનંદ

અચાનક અમિતાભ બની ગયો રાજ કપૂર અને કિશોરદાનો વિકલ્પ

મારી જિંદગીના વીતેલા વર્ષો તરફ પાછું વળીને જ્યારે હું નજર ફેંકું છું ત્યારે વિચારમાં પડી જાઉં છું. ગીતકાર શૈલેન્દ્રની જેમ મને પણ આવું પૂછવાની ઇચ્છા થઇ આવે છે; કાહે કો દુનિયા બનાઇ?

અડધી સદીની મારી જીવનસફરમાં મને જાત-જાતના અને ભાત-ભાતના અનુભવો થયા છે. હજારો નહીં પણ લાખો માણસોને મળ્યો છું. મોટા ભાગના માનવીઓ સ્વાર્થી, નમકહરામ, તકવાદી, મોં ઉપર મીઠું બોલનારા અને પીઠ પાછળ નીંદા કરનારા, ઉપકારની ઉપર અપકાર કરનારા અને એક પણ વાર આપણે એમની ઉપર કરેલા અહેસાનની પહોંચ ન આપનારા મળ્યા છે. ડૉક્ટરની કે લેખકની, બંને કારકિર્દીઓમાં જ્યારે હું નવો-સવો હતો ત્યારે મારી પીઠ થાબડનારાઓની સંખ્યા માટે એક આંગળીનાં વેઢાં પણ વધી પડે! અને સફળતા પ્રાપ્ત થયા બાદ પોતાનું કામ કઢાવવા માટે મધમીઠાં શબ્દો અને ચાસણીમાં ડૂબેલા અવાજ સાથે મારા કામની ખરી કે ખોટી પ્રશંસા કરનારા પણ ઘણાં મળ્યા છે.

આવું બને ત્યારે મનમાં સવાલ ઊઠી છે કે આ જગતમાં સાચા અને સારા માણસો હશે જ નહીં? મને એવા માનવીઓની તલાશ છે કે જેઓ કોઈ પણ સ્વાર્થ વગર મારી સાથે સંબંધ રાખી શકે અને એવા લોકોની પણ તલાશ છે જેઓ સાવ સહજ રીતે મારી શક્તિઓને પારખીને મને મદદમાં આવી શકે. મને અકારણ પક્ષપાત કે ભલામણની અપેક્ષા જીવનમાં કદિયે હતી નહીં અને હશે પણ નહીં; અપેક્ષા માત્ર એટલી જ રહી છે કે વિના કારણ (અથવા તો ઈર્ષાને કારણે) કોઈ મને નુકશાન ન કરે. આવા માણસો (ભલે જૂજ સંખ્યામાં) પણ મને મળ્યા છે ખરાં.

હું, તમે અને આપણે આવી જ ફરિયાદો અને અપેક્ષાઓ સાથે જિંદગી બસર કરતા રહીએ છીએ અને કટુ અનુભવોનું પોટલું મોટું ને મોટું કરતાં જઈએ છીએ. આપણી તો હેસિયત પણ કેટલી નાની છે! મહાન પ્રતિભાઓથી ઊભરાતાં આ વિશ્વમાં આપણી વિસાત કેટલી ગણાય? તદ્દન નગણ્ય.

તો પછી અમિતાભ બચ્ચન જેવા મહાન અભિનેતા અને સફળ માનવીને પોતાની જિંદગી પાસેથી કેવી ને કેટલી અપેક્ષાઓ રહી હશે?! શું એમને પણ કોઈ સારા માણસો મળ્યા હશે ખરા?

આ લોકોએ પકડ્યો હતો બચ્ચચનો પ્રેમથી હાથ

અમિતાભ બચ્ચને જિંદગીમાં સાંપડેલા કેટલાંક સારા માણસોમાંના એક એટલે એ જમાનાના જાણીતા ફિલ્મ નિર્દેશક ખ્વાજા અહેમદ અબ્બાસ. અમિતજીની પ્રથમ ફિલ્મ 'સાત હિંદુસ્તાની'ના નિર્માતા તથા દિગ્દર્શક.

કોઈ પણ જાતની સિફારીશ વગર એક સાવ અજાણ્યા જુવાનને અબ્બાસ સાહેબે પોતાની ફિલ્મમાં તક આપી. પોતાના બજેટ અનુસાર એને મહેનતાણું પણ ચૂકવ્યું. આટલું ઓછું હોય તેમ એક દિવસ અમિતાભને લઈને તેઓ હિંદી ફિલ્મોના મહાન દિગ્દર્શક ઋષિકેશ મુખરજીની પાસે પહોંચી ગયા.

જે સમયે ચોપરા સાહેબ, મનમોહન દેસાઇ, તારાચંદ બડજાત્યા અને પ્રમોદ ચક્રવર્તી જેવા માંધાતાઓ અમિતજીને હતોત્સાહિત બની જવાય એ હદ સુધી ઠુકરાવી ચૂક્યા હતા, એવા કપરા સમયમાં અબ્બાસ સાહેબ કોઇ પણ જાતના સ્વાર્થ વગર અમિતનો હાથ પકડીને ખુદ ભલામણ વજન સાથે એક મોટા ગજાની છાવણીમાં લઇ ગયા.

ઋષિકેશ મુકરજીનું મકાન ત્યારે બાંદરાના સમુદ્ર કિનારે આવેલું હતું. અબ્બાસ સાહેબે અમિતનો પરીચય કરાવ્યો. આડી અવડી વાતો થઇ અને બધાં છૂટા પડ્યા. ઋષિદાએ ફિલ્મી ઢબનો જવાબ આપ્યો કે ક્યારેક સમય લઈને ફરીથી મળજે.

એક દિવસ બપોરના સમયે યુવાન અમિત અગાઉથી નિર્ધારીત થયેલી મુલાકાત અનુસાર ઋષિકેશને મળવા જઇ પહોંચ્યો. એ 1968નું વર્ષ હતું. ઋષિદા પગના દુ:ખાવાથી પીડાઇ રહ્યા હતા. એમને કૂતરાઓ પાળવાનો શોખ હતો. અમિતનું સ્વાગત એક કરતાં વધારે કૂતરાઓએ ભસીને કર્યું. અમિતજી ડરીને પાછળ હટી ગયા.

ઋષિકેશ હસીને બોલ્યા,'' ડરશો નહીં, અંદર આવી જાવ. અહીં કુલ સાત કૂતરાં છે. ''

અમિત આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે એમણે કૂતરાંની સંખ્યા ગણી જોઈ, તો માત્ર છ જ હતાં. એનાથી પૂછાઇ ગયું, ''સાત?''

''હા, તમે મને ગણવાનું તો ભૂલી જ ગયા.'' આટલું કહીને ઋષિદાએ અમિતને પલંગ ઉપર બેસવાનો આગ્રહ કર્યો. અમિતે એમની બાજુમાં બેસવાની આનાકાની કરી, તો ઋષિદાએ સમજાવ્યા, ''અહીં જ બેસો. મારી બાજુમાં. આરામથી બેસો. તો જ નીરાંતે વાત કરવાની મજા આવશે.''

ઋષિદાએ સાત કૂતરાંમાં પોતાનો પણ લમાવેશ કરી લીધો એ વાતથી અમિતાભને એમની ઉચ્ચ કક્ષાની 'સેન્સ ઓફ હ્યુમર'નો પરીચય મળી ગયો; પોતાની જાત પર હસવાની ક્ષમતા ભાગ્યે જ કોઈમાં જોવા મળતી હોય છે. ઋષિકેશની બીજી એક કક્ષાનો પરીચય પણ તરત જ અમિતાભની નજર સામે આવી ગયો. પલંગ ઉપર કવિવર રવીન્દ્રનાથ ટાગોરની 'રવીન્દ્ર રચનાવલી'નો ઢગલો પડ્યો હતો. આટલા ખ્યાતનામ અને આટલા વ્યસ્ત ફિલ્મ દિગ્દર્શકનો ગુરુદેવની કવિતાઓ વાંચવામાં રસ પડી શકે છે એ જાણીને કવિપુત્ર અમિતાભ ખુશ થઈ ગયા.

પુસ્તકોને બાજુમાં ખસેડીને ઋષિદાએ અમિતાભ માટે બેસવાની જગ્યા કરી આપી. એની આંખોમાં ઊગેલા પ્રશ્નને વાંચીને એમણે ઉત્તર પણ આપી દીધો, ''આમ તો મને વાંચન માટે સમય રહેતો નથી, પણ હમણાં આ પગની તકલીફને લીધે હું કામ કરી શકતો નથી; આંખો દિવસ પલંગમાં પડ્યા-પડ્યા પુસ્તકો વાંચતો રહું છું. અત્યારે મને થાય છે કે જીવનમાં હજી કેટલું બધું વાંચવાનું બાકી રહી ગયું છે.''

ઋષિદાને એ વાત યાદ હતી જ્યારે અબ્બાસ સાહેબે અમિતાભનો પરીચય આ શબ્દોમાં આપ્યો હતો,'' આનું નામ અમિતાભ છે. મારી ફિલ્મ 'સાત હિંદુસ્તાની'માં એણે ઉત્તમ કામ કર્યું છે. એના પિતાજીને હું ઓળખું છું. ડૉક્ટર હરિવંશરાય બચ્ચન. આ છોકરો કામ શોધી રહ્યો છે. તમે એને તમારી ફિલ્મમાં તક આપી શકો તેમ હોવ તો તમ કરવા મારી વિનંતી છે.''

કે.એ.અબ્બાસ જેવા મોટા ગજાના માણસ જ્યારે 'વિનંતી' કરતા હોય ત્યારે કોણ એને ઠુકરાવી શકે?

ઋષિદા આંખનું મટકુંયે માર્યા વગર આ નવા અભિનેતાને તાકી રહ્યા. જાણે કે એની ભીતરમાં છુપાયેલી પ્રતિભાને માપી રહ્યા!

અમિતનો ચહેરો એ વખતે સૂક્કો અને ગાલમાં ખાડા વાળો હતો. એ ચહેરામાં સુખનું માંસ અને સમૃધ્ધિની ચરબી ભરાવાની હજુ વાર હતી. એ ઘણો દૂબળો-પાતળો અને ખાસ્સો ઊંચો હતો. પણ એની આંખોમાં સાગરનું ઊંડાણ હતું. ઋષિદાને લાગ્યું કે આ છોકરાની આંખોમાં એક ન સમજાય તેવી વેદના પડેલી છે. એમણે અમિતની સાથે થોડી વાતો કરી. એમને લાગ્યું કે અમિતનો અવાજ ઊંડો ને ઘૂંટાયેલો હતો.

અચાનક એમના દિમાગમાં ચમકારો થયો: ''આ છોકરાને ડૉ.ભાસ્કરની ભૂમિકા માટે પસંદ કર્યો હોય તો કેવું રહેશે?''

ઋષિકેશ મુખરજી એ સમયે 'આનંદ' બનાવી રહ્યા હતા.

...અને અમિતાભ 'આનંદ'માં આવી ગયા

રાજેશ ખન્નાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ગણાયેલી 'આનંદ'ની વાર્તા ઋષિદાએ જાતે લખી હતી. છેક 1960માં એ કથા લખાઇ ચૂકી હતી. 'અનાડી' ફિલ્મ પૂરી થઇ ગયા પછી ઋષિદાએ પોતાના અને રાજકપૂરના સંબંધો વિષે એક ફિલ્મ બનાવવાનું વિચાર્યું હતું.

ફિલ્મનો કેન્દ્રવર્તી વિચાર એવો હતો કે એક હસતો-રમતો ખુશમિજાજ યુવાન અસાધ્ય કેન્સરનો ભોગ બને છે. યુવાનીમાં જ મોતને જોઈ ગયેલી કોઈ પણ વ્યક્તિ મનથી ભાંગી પડે; પણ આ યુવાન ખુશમિજાજી છે. એ ઝિંદાદિલીપૂર્વક મોતનો સામનો કરવાનું નક્કી કરે છે. અને એવું કરી પણ બતાવે છે. એને આવી કરૂણ હાલતમાંયે હસતો-ખેલતો જોઈને એની આસપાસના લોકો અચંબિત રહી જાય છે. એમાંનો એક સ્વજન જેવો મિત્ર એટલે ડૉ.ભાસ્કર. એ 'આનંદ'ના નાયક કરતાં તદ્દન સામેના છેડાનો માણસ છે. ગંભીર અને અંતર્મુખી. ઋષિદાને લાગ્યું કે આ પાત્રને અમિતાભને પૂરેપૂરો ન્યાય આપી શકશે.

'આનંદ' ફિલ્મ બનાવવાનો વિચાર તો છેક 1962માં આકાર ધરી ચૂક્યો હતો, પણ એક યા બીજા કારણસર એને અમલમાં મૂકી શકાતો ન હતો. સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આ ફિલ્મના નિર્માણ માટે નાણાં રોકવાની કોઈ પણ નિર્માતાની તૈયારી ન હતી. એ બધાંને આ 'પ્રોજેક્ટ'માં કસ જણાતો ન હતો. આ એક ગંભીર પ્રકારની 'આર્ટ ફિલ્મ' જેવી વધારે લાગી રહી હતી. એમાં કોઇ હીરોઇન માટે, રોમાન્સ માટે કે ગીતો માટે અવકાશ દેખાતો ન હતો.

બીજી તકલીફ મુખ્ય ભૂમિકા ભજવવા માટે હીરોની તલાશની હતી. ફિલ્મ જ્યારે બનવાની તૈયારીમાં આવી ગઈ, ત્યાં સુધીમાં રાજકપૂરી યુવાનને બદલે આધેડ વય તરફ પ્રસ્થાન કરી ચૂક્યા હતા. એમના જેવો ખુશમિજાજ અદાકાર બીજો મળવો મુશ્કેલ હતો. શશીકપૂર પાસે તારીખો ન હતી. કિશોર કુમાર સ્વાભાવિક વિકલ્પ હતો, પણ એના નખરાં અને પાગલપણાની સાથે પનારો પડવાનું કામ અઘરું હતું.

અચાનક એક દિવસ રાજેશ ખન્ના સામે ચાલીને મળવા માટે આવ્યો. ઋષિદાને કહે,'' મારે 'આનંદ'નું પાત્ર ભજવવું છે. મને વાર્તા સંભળાવો. ''

''સોરી, હું વાર્તા કોઈને સંભળાવતો નથી. અને બીજી એક વાત પણ તારે સ્વીકારી લેવી પડશે; હું જ્યારે ફિલ્મ બનાવતો હોઊં છું ત્યારે 'બોસ' ફક્ત હું જ હોઉં છું. તારે ભૂલી જવું પડશે કે તું દેશનો સૌથી વધારે લોકપ્રિય અભિનેતા છે. તારે સુપરસ્ટાર તરીકેના નાઝ-નખરા અને અહંકાર જૂતાની સાથે જ બહાર ઊતારીને સ્ટુડિયોમાં આવવું પડશે.'' ઋષિદાએ ચોખ્ખી વાત કરી દીધી. આ એમની શૈલી હતી. એમની ફિલ્મના 'સેટ' ઊપર સ્પોટ બોય અને સુપરસ્ટાર એક સમાન બનીને જીવતા હતા. જહાજના કેપ્ટન માત્ર ઋષિદા જ રહેતા હતા, બાકીના તમામ માત્ર પ્રવાસીઓની ભૂમિકામાં રહેતા હતા.

રાજેશ ખન્નાએ વાર્તા સાંભળવાનો આગ્રહ ચાલુ રાખ્યો. ત્યારે ઋષિદાએ શરત મૂકી, ''વાર્તા તો સંભળાવું; મને વિશ્વાસ છે કે એ તને ગમી જશે. પણ પછી તારે ફિલ્મના શૂટીંગ માટે બધી તારીખો સળંગ આપવી પડશે.'' રાજેશ ખન્ના તૈયાર થઇ ગયા.

જેમણે 'આનંદ' જોઇ છે એને યાદ હશે કે ઋષિદાએ ખન્ના પાસેથી કેવું ફક્કડ કામ કઢાવ્યું છે! સુપરસ્ટારને કોઈ ચમકદાર મેકઅપ કે ગ્લેમરસ કપડાં વગર એક મરીઝના રૂપમાં એમણે રજૂ કર્યો અને ખન્ના છવાઇ ગયો. વિવેચકોના મતે તો રાજેશે જિંદગીમાં આ એક જ ફિલ્મમાં અભિનય કર્યો છે, બાકી તો જીવનભર નિખરાંઓ, ગિમિક્સ અને મેનરીઝમ્સથી જ કામ ચલાવ્યે રાખ્યું છે.

ઋષિકેશ મુખરજીને હવે બીજા એક કલાકારની તલાશ કરવાની હતી. ડૉ.ભાસ્કરના પાત્ર માટે યોગ્ય અભિનેતાની તલાશ. અને ઘરે ગંભીર અવાજવાળો એક લાંબો, દૂબળો પાતળો યુવાન એમની સામે બેઠો હતો.

...અને અમિતજી આ લોકોનું ગણ ભુલ્યા નથી

ઋષિકેશ મુખરજી જમાનો જોઈ ચૂકેલા માણસ હતા. એમના મનમાં તો ડૉ. ભાસ્કરના પાત્ર માટે અમિત વસી ગયો હતો, પણ એમણે અમિતને એ વિષે જણાવ્યું નહીં. આડી-અવળી વાતો કરીને બંને છૂટા પડ્યા. એ પછી ઋષિદાએ 'સાત હિંદુસ્તાની' ફિલ્મ જોઈ લીધી. એમાં અમિતનું કામ એમને ખાસ કંઇ પ્રભાવિત કરી શક્યું નહીં. તેમ છતાં એમણે એના નામ ઉપર ચોકડી ન મારી દીધી. નિયમિત સમયાંતરે અમિત એમને મળતો રહ્યો. અમિતને કામની તલાશ હતી અને ઋષિદાને ડૉ.ભાસ્કરની. એ ઝીણું નિરીક્ષણ કરતા રહ્યા. આખરે એમને લાગ્યું કે આ જુવાન ડૉ.ભાસ્કરનું પાત્ર ભજવી શકે તેવો છે.

'આનંદ'નો ડૉ.ભાસ્કર અંતર્મુખી માણસ છે. બંગાળનો ભદ્ર બાબુ મોશાય. જે જ્વલ્લે જ હસે થે. જે પોતાને ગમતી યુવતીની સાથે પણ શરમાતો રહે છે, ફાલતુ બક-બક કરતા માણસો (આનંદ જેવા) પ્રત્યે એને ચીડ છે અને દિવસભર દરમ્યાન મનમાં ઉઠતી સંવેદનાઓને રોજ રાત્રે એ પોતાની અંગત ડાયરીમાં ટપકાવતો રહે છે.

નવ્વાણુ ટકા જેટલો મામલો પતી ગયો હતો. એક ટકા જેવી અધૂરપ જો હજુ બાકી હતી, તો એ ઓમપ્રકાશે પૂરી કરી આપી.

એક દિવસ ઓમપ્રકાશ અને ઋષિકેશ મુખરજી ભેગા થઇ ગયા. રણજીત સ્ટુડિયોની આ ઘટના. કોઇ સંદર્ભ વગર જ ઓમ પ્રકાશે વાત કાઢી,'' તાજેતરમાં મેં એક નવા છોકરાની સાથે કામ કર્યું છે. ફિલ્મ 'પરવાના'માં. ફિલ્મનો હીરો નવીન નિશ્ચલ છે, પણ કમાલનું કામ તો વિલન બનતા એક છોકરાએ કર્યું છે. અદભુત કલાકાર છએ.''

''શું નામ છે?''

'' અમિતાભ. નવા અભિનેતાઓમાં એનો જોટો જડે એમ નથી. યાદ રાખજો મારા શબ્દો. આવનારા સમયમાં એ બીજો પાલમુનિ સાબિત થશે.'' ઓમ પ્રકાશની પ્રશંસાએ ઋષિદાએ રહી-સહી અવઢવ પણ દૂર કરી દીધી. 'આનંદ' માટે ડૉ. ભાસ્કરનું પાત્ર અમિત માટે 'રીઝર્વ' થઇ ગયું.

અમિતાભને લાગ્યું કે આ વિશ્વમાં બધાં માણસો સ્વાર્થી કે ગણતરીબાજ નથી હોતા. ઊગતા સૂરજની વંદના તો સહુ કરે છે; પણ ક્ષિતીજની પૂર્વ રેખામાં ઊગવા મથતાં કોઈ પણ અગનગોળાને સૂરજ તરીકે પીછાણી અને પ્રમાણી શકે તેવા માણસો કેટલા હશે? અને ક્યાં હશે?

ખ્વાજા એહમદ અબ્બાસ અને ઓમ પ્રકાશ આ બે જણાં આવા સાત્ત્વિક મહાનુભાવો હતા. અને એટલે જ અમિતાભ એમને કદિયે ભૂલ્યા નથી.

વિશ્વમાં એવી ચાર જ વ્યક્તિઓ છે (હતી) જેમને અમિતાભ બચ્ચન જ્યાં, જ્યારે અને જે હાલતમાં મળે ત્યાં અને ત્યારે જાહેરમાં ચરણસ્પર્શ કરી લેતા હતા. એમાંની બે વ્યક્તિઓ આ હતી; અબ્બાસ સાહેબ અને ઓમ પ્રકાશ.

તો મિત્રો, બીજી બે વ્યક્તિઓ કોણ હતી?!

એ વિષે ભવિષ્યમાં વાત કરીશું. આજ કી મુલાકાત બસ, ઇતની! કહીં ભી જાઇયેગા નહીં હમ યૂં ગયે ઔર યૂં આયે!

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!