નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

‘કાગઝ કી કશ્તી, બારિશ કા પાની...’

સમયે બદલી નાખેલા ચહેરા ભલે ન ઓળખાય, પણ દાયકા રિવાઇન્ડ થઇ જાય છે. સ્મૃતિમાં અંકિત ચહેરા, સામે ઊભેલા ચહેરા પર ગોઠવાઇ જાય છે.

સમય એકાદ સાંજ પૂરતો થંભી શકે છે. મહોરાં એકાદ સાંજ પૂરતા ઊતરી શકે છે.

દરેક માણસની જિંદગીમાં યાદોની એક મોસમ આવતી હોય છે. વીતેલા દિવસો ફરીને આપણી પાસે આવે છે અથવા માણસ પોતે વીતેલા દિવસો સુધી પહોંચી જાય છે. આને નોસ્તાલ્જિયા, ભૂલી બિસરી યાદેં, તને સાંભરે રે- મને કેમ વિસરે રે... જેવા દિવસોની મોસમ કહે છે. સ્કૂલના ‘રિ-યુનિયન’ની સાંજો આવા જ ઝળઝળિયાં અને ખડખડાટ હાસ્યોથી છવાયેલી હોય છે. ખુશખુશાલ ચહેરા, ખરી ગયેલા વાળ, આંખો પર ચશ્માં અને વધી ગયેલા શરીર સાથે એકબીજાનો હાથ પકડીને ઊભેલા મિત્રો કેટલી અને કેવી મજા કરી હતી એ યાદ કરવા ભેગા થાય છે.

આ એક સાંજ એવી હોય છે જ્યારે સૌ થોડા નાના થઇ જવાની અને સમયને રિવાઇન્ડ કરવાની મજા માણે છે. હમણાંથી અખબારોના પાનાં પર સ્કૂલોના ‘રિ-યુનિયન’ના સમાચારો છપાતાં રહે છે. આજકાલ રિ-યુનિયનની ‘મોસમ-એ-નોસ્તાલ્જિયા’ ચાલે છે. ફેસબુક અને ટ્વીટર પર અપડેટ્સમાં વીતેલા દિવસોની મીઠાશ છલકાયા કરે છે, અવારનવાર. માણસમાત્રને વીતી ગયેલો સમય વધુ મીઠો લાગે છે. જે હાથમાંથી સરકી ગઇ છે એ પળ જિંદગીની સૌથી ખૂબસૂરત પળ હતી, એની ખબર ત્યારે જ પડે છે જ્યારે એ પળ પહોંચની બહાર નીકળી જાય છે.

જે નથી મળ્યું અથવા નથી મળી શક્યું એ જ અદ્ભુત હશે એમ માનીને જીવવું માણસમાત્રની ફિતરત છે. જે નથી ચાખ્યો એ જ સ્વાદ ઉત્તમ હશે, જે નથી જોઇ એ દુનિયા બેનમૂન હશે! એવી લાગણી સાથે જીવાતી જિંદગીમાં આવી સાંજ સચ્ચાઇની લાલટેન લઇને દાખલ થાય છે.

જેને માટે ક્યારેક દિલ ધડકતું હતું, હથેળીઓમાં પરસેવો વળી જતો હતો. એ આજે માઇલો દૂર ઊભેલા લાગે છે! દિવસમાં એક વાર જેને મળ્યા વિના બધું અધૂરું લાગતું હતું એવા લોકોને એમની પત્ની કે પતિ સાથે ઊભેલા જોઇને ઔપચારિક સ્મિત સિવાય કશું હોઠ પર નથી આવતું! સમય બદલાય એ સાથે સંબંધોના સમીકરણ બદલાય છે. સરકી ગયેલી પળોની મીઠાશ વાગોળવી ગમે છે, પરંતુ ગમે તેટલા પ્રયાસ છતાં એ મીઠાશ ફરી અનુભવી શકાતી નથી.

આ યાદોની મોસમ વારંવાર આવતી નથી. સતત ભાગતી રહેતી જિંદગીને થંભાવીને એની આંખોમાં આંખો નાખીને જોવાનો સમય વિચિત્ર પ્રકારનું સુકુન આપે છે. જેમને ક્યારેક ઇર્ષાની નજરે જોયા હતા એવા લોકોની જિંદગીઓને જોઇને થતો પોતાની સફળતાનો અહંકાર તો ક્યારેક જેમની તરફ કદી જોયું જ નહોતું એવા લોકોની સફળતા જોઇને અંજાઇ જતી આંખો! તેમ છતાં એ આંખોમાં ચમકી જતી વીતેલા દિવસોની સ્મૃતિ એક પેગ શરાબ પછીના સુરૂરની જેમ હવામાં તોળાયાં કરે છે. લાગણીઓની લેવડદેવડ એક સાંજ પૂરતી તદ્દન પ્રામાણિક અને સાચી બની જાય છે!

ખાસ કરીને સ્કૂલનું રિ-યુનિયન અજબ જેવી ટાઇમમશીનની સફર છે. જેની સાથે જિંદગીના સૌથી નિર્દોષ, રસપ્રદ દિવસો વિતાવ્યા હોય એવા લોકો અમુક દાયકા પછી ભેગા થાય છે. કોણે શું કર્યું, કોણ શું બની ગયું, કોની પાસે કેટલા ઘર, કેટલી ગાડી, ફેક્ટરીઓ અને સફળતા છે એની ચર્ચામાં એક સાંજ ડૂબી જાય છે. ભેગા થયેલા પચાસ-સાઠ જણામાંથી ભાગ્યે જ વીસેક આ સાંજના સોનેરી પ્રવાહમાં પોતાને ડૂબાડી નોસ્તાલ્જિયાના નશામાં ખડખડાટ હસી શકે છે.

‘જવું જોઇએ’ના જાતને કરાયેલા આગ્રહ હેઠળ હાજર રહેલા મોટા ભાગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે મજા માણવાના ઇરાદે આવ્યા હોય છે એ એમને મળતી નથી. એ તો ત્યાં જ, સ્કૂલના કમ્પાઉન્ડમાં ક્યાંક છુટી ગઇ હોય છે-ફેરવેલની પાર્ટીમાં! આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરવાનું કામ પણ જબરજસ્ત અઘરું અને મહેનત માગી લે એવું છે. જે આ કામ માથે લે એની પાસે અખૂટ સમય અને ધીરજ હોવાં અનિવાર્ય છે.

શનિવાર-૧૬મી જાન્યુઆરીની એક સાંજ આવા નોસ્તાલ્જિયાના નશામાં ડૂબેલી સાંજ હતી. એ. જી. હાઇસ્કૂલના ૧૯૮૩માં દસમું ધોરણ પાસ કરેલા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. અહીં નોસ્તાલ્જિયાના નશાને બદલે એક અદ્ભુત ઋણસ્વીકારનો પ્રસંગ ઉજવવામાં આવ્યો. સૌ જ્યાં છે ત્યાં પહોંચાડવા માટે, એમની સફળતાના વૃક્ષમાં ખાતર-પાણી, તડકો મળી રહે એ મહેનત કરનારા માળીઓનું સન્માન કરવામાં આવ્યું.

અહીં લાકડીના ટેકે ચાલતા, ચશ્માંથી પણ બરાબર ન જોઇ શકે એવા અને કેટલાક આજે પણ મજબૂત ઊભેલા શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું. શાલ અને ફૂલોથી સન્માન કરવામાં આવ્યું. મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા. એમના પ્રતિભાવ વ્યક્ત કરવાની વિનંતી કરવામાં આવી. ભરાયેલા ગળે અને ભીની આંખે એમણે જે કંઇ કહ્યું તે સાચા અર્થમાં ‘નોસ્તાલ્જિક પ્રવાસ’ બની રહ્યો. ગુજરી ગયેલા વિદ્યાર્થીઓના માતા-પિતાને, જિંદગીનો પડકાર ઝીલી રહેલા કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જોઇને સાચા અર્થમાં યાદોની મોસમ બની ગઇ. એવા કેટલાકને શોધીને આમંત્રિત કરાયા હતા જેમણે પોતાને વર્ષોથી ચાર દીવાલમાં બંધ કરી દીધા હતા.

વલ્લભવિદ્યાનગર, વડોદરા, ચેન્નઇ અને છેક ઇંગ્લેન્ડથી આ સાંજ ઉજવવા અમદાવાદમાં ભેગા થયેલા સૌ ઘણી વાતો કરી રહ્યા હતા-કરી શક્યા હતા! સૌએ એકબીજાને ફરી મળવાના વચનો આપ્યાં, ફરીને આવી સાંજ ગોઠવવામાં આવશે એવું નક્કી કરવામાં આવ્યું. આ ભાગતીદોડતી જિંદગીમાં દુર્ભાગ્યે આવા વચનો પાળી શકાતા નથી એ સૌ જાણે છે, પરંતુ અગત્યની વાત એ છે કે આવી સાંજ જીવવા માટે મુઢ્ઢીભર શ્વાસ ઉમેરી જાય છે. ‘જે જીવ્યા તે સારું જીવ્યા’ એવી ખાતરી હોય કે નહીં, પણ ‘જે જીવ્યા તે સાચું જીવ્યા’ એવી ખાતરી આપવામાં આવી સાંજ ઘણી મદદ કરે છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!