નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મહાત્મા ગાંધીના અંતિમ 12 કલાક

>ગાંધી હત્યાના 10 દિવસ પહેલા જ નિષ્ફળ હુમલો કરાયો હતો
>ગાંધીજીને તેમની હત્યાનો પૂર્વાભાસ થઈ ગયો હતો
>ગાંધીજીના જીવનના અંતિમ 12 કલાક આશ્ચર્યકારક હતા
>તેમણે તે ગોઝારા દિવસે અડધો ડઝનવાર મૃત્યુની વાત કરી હતી
>મોતના દિવસે પણ ગાંધીજીની દિનચર્યા સામાન્ય હતી
>મહિલા સહયોગીને તે દિવસે ઉઠવાનું મોડું થતાં ગાંધીજી નારાજ થયા
>સરદાર પટેલ સાથેની મુલાકાતને કારણે પ્રાર્થના સભામાં જવામાં વિલંબ થયો
>નાથૂરામની ત્રણ ગોળીઓથી ગાંધી મોતની નિંદ્રામાં પોઢી ગયા
>તેમણે મૃત્યુવેળાએ પણ રામ નામનો સાથ છોડયો ન હતો


મહાત્મા ગાંધીની હત્યાના 10 દિવસ પહેલા પણ દિલ્હીના બિરલા હાઉસમાં જ તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ખુદ પણ જાણતા હતા કે તેમના જીવને જોખમ છે. પરંતુ બાદમાં પણ તેઓ નિર્ભય બનીને કામ કરતાં રહ્યાં. પોતાના અંતિમ દિવસે તેમણે એક સાથીની બેજવાબદારીથી નારાજ થઈને કહ્યું હતું કે તેમને આ બધું પસંદ નથી અને તેમની ઈચ્છા છે કે ભગવાન આ બધું જોવા માટે તેમને વધારે દિવસ અહીં રાખે નહીં. જીવનના અંતિમ દિવસે તેમણે લગભગ અડધો ડઝન વખત મોતનો ઉલ્લેખ કર્યો હતો.

30 જાન્યુઆરી, 1948ના રોજ તેઓ સામાન્ય દિવસોની જેમ જ સવારે સાડા ત્રણ વાગ્યે ઉઠયા હતા. તેઓ દિલ્હીના અલબુકર રોડ ખાતે બિરલા હાઉસમાં રોકાયેલા હતા. તેઓ કોલકત્તાથી 9 સપ્ટેમ્બર, 1947ના રોજ દિલ્હી પહોંચ્યા હતા. તેમણે સવારે ઉઠયા બાદ પોતાના સહયોગીઓને જગાડયા હતા. તેમના સહયોગીઓમાં વૃજકૃષ્ણ ચાંદીવાલા અને તેમની ભત્રીજીઓ મનુ તથા આભા સામેલ હતા.

3-45 કલાકે પ્રાર્થના થઈ. પરંતુ તે સમય સુધી એક મહિલા સહયોગી ઉઠી શકી ન હતી. તેનાથી ગાંધીજી ઘણાં નારાજ થયા હતા. પ્રાર્થના સભા બાદ ગાંધીએ પોતાનું કામ નિપટાવાની શરૂઆત કરી હતી. તેમણે કોંગ્રેસના પ્રસ્તાવિત બંધારણના મુસદ્દામાં કેટલાંક સંશોધનો કર્યા. લગભગ 4-45 કલાકે તેમણે લીંબુનું પાણી, મધ અને ગરમ પાણી પીધું હતું. દિલ્હી આવતા પહેલા તેઓ કોલકત્તામાં ઉપવાસ પર હતા. તેના કારણે તેઓમાં કમજોરી આવી ગઈ હતી. આ કારણે તેમણે કેટલોક સમય આરામ કર્યો, તે બાબત તેમની દિનચર્યામાં સામેલ ન હતી.

લગભગ અડધા કલાક બાદ તેઓ ઉઠયા અને પત્રાચારની ફાઈલ માંગી હતી. તે દરમિયાન મનુએ તેમને પુછયું કે શું 2 ફેબ્રુઆરીએ તેઓ સેવાગ્રામ જઈ રહ્યાં છે, ગાંધીજીએ જવાબ આપ્યો કે ભવિષ્યના સંદર્ભે કોણ જાણે છે? મનુએ જ્યારે તેમને કહ્યું કે તેમની દવા પૂરી થઈ ગઈ છે, તેની વ્યવસ્થા કરવી પડશે, તો ગાંધી બોલ્યા રાત સુધીમાં શું થઈ જાય, કોણ જાણે છે? ત્યાં સુધી તેઓ જીવિત રહે કે નહીં.

મહાત્મા ગાંધીની તે દિવસે પહેલી મુલાકાત સાત વાગ્યે રાજન નેહરુ સાથે હતી, તેઓ અમેરિકા જઈ રહ્યાં હતા. નબળાઈ છતાં તેમની સક્રિયતા યથાવત હતી. તેમણે સચિવ પ્યારેલાલને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં રાખવામાં આવનારા પ્રસ્તાવનો મુસદ્દો સોંપ્યો અને કહ્યું કે તેને તેઓ ધ્યાનથી જોઈ લે. ત્યાર બાદ ગાંધીજીએ દિવસના અખબાર વાંચ્યા અને સ્નાન કર્યું હતું.

ત્યાં સુધીમાં સાડા નવ વાગી ગયા હતા. તે ગાંધીજીના ભોજનનો સમય હતો. ભોજન દરમિયાન તેમણે પ્યારેલાલ પાસેથી કોંગ્રેસના બંધારણના મુસદ્દાની જાણકારી માંગી હતી. પ્યારેલાલે તેમને પોતાની હિંદુ મહાસભાના નેતા શ્યામપ્રસાદ મુખર્જી સાથેની મુલાકાતની જાણકારી આપી હતી. તેમણે પ્યારેલાલના માધ્યમથી મુખર્જી પાસે ફરીયાદ મોકલી હતી કે મહાસભાના કેટલાંક કાર્યકર્તાઓ કોંગ્રેસી નેતાઓ પર હુમલો કરવાની વાત જાહેરમાં કરી રહ્યાં છે. પરંતુ મુખર્જીનો જવાબ સંતોષજનક ન હતો.

લગભગ સાડા દસ વાગ્યે ગાંધીએ થોડી વાર માટે આરામ કર્યો હતો. આરામ બાદ ઉઠીને તેઓ કોઈપણ પ્રકારના સહારા વગર બાથરૂમ તરફ ગયા. ઉપવાસ બાદ તેઓ પહેલીવાર કોઈપણ સહારા વગર ચાલ્યા હતા. આ સંદર્ભે મનુએ કહ્યું હતું કે બાપુ તમને સહારા વગર ચાલતા જોવા કેટલું સારું લાગે છે. બાપુએ હસીને કહ્યું હતું કે જીનવમાં એકલા ચલો, એકલા ચલો.

ત્યાર બાદ તેઓ દિલ્હીથી આવેલા મુસ્લિમોના એક પ્રતિનિધિમંડળને મળ્યા, તેમણે જણાવ્યું હતું કે શહેરમાં હજીપણ કોમી તણાવ છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વર્ધા જવાની તૈયારીમાં છે અને કહ્યું કે જો વિધાતાએ તેમના માટે કંઈક બીજું ન વિચાર્યું હોય, તો તેઓ 14 ફેબ્રુઆરીએ પાછા ફરશે.

ગાંધીજીએ ત્યાર બાદ કોલકત્તાથી આવેલા સુધીર ઘોષ સાથે મુલાકાત કરી, તેમણે જણાવ્યું હતું કે બ્રિટિશ પ્રેસ કેવી રીતે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ વચ્ચેના મતભેદોને ઉછાળી રહ્યું છે. લગભગ દોઢ વાંગ્યે વૃજકૃષ્ણએ ગાંધીજીને અકાલી નેતા માસ્ટર તારાસિંહનો નારાજગી ભરેલો પત્ર વાંચી સંભળાવ્યો, તેમા તેમણે મહત્માને સંન્યાસ લઈને હિમાલય જવાની સલાહ આપી હતી. ત્યાર બાદ તેમણે તેમને મળવા આવેલા પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી હતી.

લગભગ 4 વાગ્યે સરદાર પટેલ પોતાની પુત્રી અને સચિવ સાથે ગાંધીજીને મળવા માટે પહોંચ્યા હતા. ગાંધીજીએ સરદારને કહ્યું કે પહેલા તેઓ સમજતા હતા કે નેહરુ અથવા પટેલમાંથી કોઈ એકે કેબિનેટ છોડવું પડશે, પરંતુ હવે તેઓ માને છે કે બંનેનું રહેવું જરૂરી છે અને આ સંદર્ભે તેઓ સાંજની બેઠકમાં ઘોષણા કરી શકે છે. ગાંધીજી પટેલ સાથે વાત કરી રહ્યાં હતા, ત્યારે ગુજરાતના કાઠિયાવાડથી બે નેતાઓ તેમને મળવા આવ્યા. મનુએ ગાંધીજીને પુછયું કે શું તેઓ તેમને મળવા ઈચ્છે છે? ત્યારે તેમણે કહ્યું હતું કે જો તેઓ જીવિત રહેશે, તો સાંજની બેઠક બાદ તેમને મળશે.

લગભગ પાંચ વાગ્યે ગાંધીજીની પ્રાર્થના સભાનો સમય થઈ ગયો. જો કે તેઓ સમયના ખૂબ જ પાબંધ હતા, પરંતુ સરદાર પટેલ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી રહ્યાં હતા, તેના કારણે તેમને પ્રાર્થના સભામાં જવામાં 5-10 મિનિટ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેઓ ઉઠયા અને મનુ અને આભાના ખભા પર હાથ મૂકીને બહાર નીકળ્યા. મનુના હાથમાં હંમેશાની જેમ ગાંધીજીના ચશ્મા, ડાયરી અને અન્ય સામાન હતો. તેમની પાછળ બિરલા પરિવારના સભ્ય અને કેટલાંક અન્ય લોકો હતા. તેમને પહેલા જ મોડું થઈ ગયું હતું, તેથી તેમણે ટૂંકો રસ્તો પસંદ કર્યો હતો. રસ્તામાં ચર્ચામાં તેમણે વિલંબ થવા પાછળ મજાકમાં મનુને જવાદાર ઠેરવ્યા અને કહ્યું હતું કે તે તેમની જવાબદારી હતી કે તેમને સમયસર મીટિંગ માટે ઉઠાડે.

ગાંધીજી સભા સ્થળ પર પહોંચ્યા, ત્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે હાથ જોડયા અને ભીડ તેમના પસાર થવા માટે રસ્તો બનાવતી ગઈ. ભીડમાં ઉભેલા ગાંધીજીના હત્યારો નાથૂરામ ગોડસે પણ સંપૂર્ણપણે સતર્ક હતો. તેમણે જોયું કે ગાંધીજી સીધા તેની દિશામાં આગળ આવી રહ્યાં છે. અને તેણે તેમને ત્યાં જ ખતમ કરવાનો નિર્ણય કર્યો. જેવા ગાંધીજી નજીક આવ્યા, નાથૂરામ બે વ્યક્તિઓને ધક્કો મારીને આગળ નીકળ્યો. ગોડસેએ નતમસ્તકની મુદ્રામાં હાથ જોડી રાખ્યા હતા, તેના હાથની વચ્ચે નાની કાળી ઈટાલિયન રિવોલ્વર છુપાયેલી હતી. તે નીચે નમ્યો. મનુને લાગ્યું કે તે ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે. તેમણે ગોડસેને કહ્યું કે ગાંધીજીને પહેલા જ મોડું થઈ ગયું છે. પરંતુ ગોડસેએ તેમની વાત સાંભળ્યા વગર ધક્કો માર્યો અને ધક્કો વાગવાથી મનુના હાથમાંથી સામાન પડી ગયો અને જ્યારે તે સામાન ઉઠાવવા ઝુક્યા કે ત્યારે જ હત્યારા નાથૂરામ ગોડસેએ ત્રણ રાઉન્ડ ફાયર કર્યા. ગાંધીજી હે રામ, હે રામના પોકાર સાથે નીચે પડી ગયા. નીચે પડયા બાદ પણ ગાંધીજી નમસ્તેની મુદ્રામાં જ હતા.

ગોળીબારની અવાજથી ભીડમાં ભાગદોડ મચી ગઈ હતી. મનુ અને આભાએ ગાંધીજીનું માથું તેમના ખોળામાં લીધું. તેમનો ચહેરો પીળો પડી ગયો અને સફેદ શાલ લોહીથી ભીની થઈ ગઈ હતી. કેટલીક વારમાં ગાંધીજીએ જીવ છોડયો.

પોતાની હત્યાના દિવસે સવારે ગાંધીજીએ મનુને કહ્યું હતું કે જો કોઈ તેમને ગોળી મારે અને તેઓ કરાહા વગર, ભગવાનું નામ લેતા પ્રાણ ત્યાગે, તો તે દુનિયાને કહી શકે છે કે આ સાચા મહાત્મા હતા. ગાંધીજીએ હકીકતમાં અંતિમ સમયે પણ સાબિત કર્યું કે તેઓ સાચા મહાત્મા હતા.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!