જીવનમાં આવી સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની અપેક્ષા ન રાખવી જોઈએ. જીવનની વાસ્તવિક્તાને સાહસ સાથે સ્વીકારવી જ એકમાત્ર માર્ગ છે.
સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના પુત્ર પ્રતીકનું બાળપણ તેનાં નાનીમા
વિદ્યાતાઈને ત્યાં પસાર થયું છે. સ્મિતા પાટિલ એક સુસંસ્કૃત પરિવારમાંથી
આવેલાં હતાં અને રાજકારણમાં પણ તેમના પરિવારનું માન હતું. રાજબબ્બર અત્યારે
ફિરોજાબાદના લોકસભાના સાંસદ છે અને પોતાની કોલેજના દિવસોથી જ રંગમંચ અને
રાજકારણમાં રસ લેતા રહ્યા છે. પ્રતીકના જન્મના તુરંત બાદ જ સ્મિતા પાટિલનું
નિધન થઈ ગયું. બાળપણમાં નાની દ્વારા વારંવાર સ્મિતા પાટિલની ફિલ્મો
જોવાનું પ્રતીકને ગમતું ન હતું, કેમકે તેઓ ફિલ્મ જોતાં જોતાં રડવા લાગતાં
હતાં. કેટલાક વર્ષ બાદ પ્રતીકે પણ સ્મિતાની ફિલ્મો જોવાનું શરૂ કર્યું અને
તેને ધીમે-ધીમે પોતાની માતાની પ્રતિભાનો પરિચય થયો.
કિશોર વયમાં પ્રતીકે ખરાબ સંગતમાં નશાકારક ડ્રગ્સનું સેવન કર્યું છે, જરૂર
કરતાં વધુ પ્રમાણમાં દારૂ પીધો છે. જોકે તે હવે આ બધા વ્યસનમાંથી મુક્ત થઈ
ગયો છે અને માતાની યાદોએ પણ તેને મદદ કરી છે. ડીવીડી પર જોયેલી ફિલ્મોમાંથી
માતાનો પ્રેમ પુત્ર સુધી પહોંચતો હોય છે. આ એક સંયોગ પણ છે કે નરગિસનો
પુત્ર સંજય દત્ત પણ યૌવન કાળમાં ડ્રગ્સ લેતો હતો અને હોસ્ટેલમાં પણ તે
વિદ્રોહીના સ્વરૂપે ઓળખાતો હતો.
શું જાણીતી અભિનેત્રીઓનાં બાળકો કિશોર વયે પોતાની માતા વિશેની સાચી-ખોટી
વાતોથી દૂર ભાગવા માટે ડ્રગ્સ લેતા હોય છે? તેમના મિત્રો તેનો મજાક ઉડાડવા
માટે અફવાઓનું શરણું લેતા હોય છે. સહાધ્યાયીઓ નિર્દયી હોઈ શકે છે, કેમકે
તેમને પોતાની વચ્ચે કોઈ જાણીતી હસ્તીના પુત્રની હાજરી ગમતી હોતી નથી.
કિશોર વયે પોતાના માતા-પિતાના આચરણનું આકલન કરવાની બાળકોમાં ક્ષમતા હોતી
નથી. પ્રતીકની માતા સ્મિતા પાટિલે રાજ બબ્બર સાથે લગ્ન કર્યા હતા અને તેના
પહેલાં તેનું કોઈ પ્રેમપ્રકરણ પણ ન હતું. સંજય દત્તનો મામલો પ્રતીકથી એ
રીતે અલગ છે કે નરગિસ-રાજ કપૂરનો પ્રેમ ઘણો જ પ્રચલિત હતો અને બધું જાણતાં
હોવા છતાં સુનીલ દત્તે નરગિસ સાથે લગ્ન કર્યાં હતાં.
શું આ કુમળી વયનાં બાળકો પોતાની માતાની યાદોથી દૂર ભાગવા માટે ડ્રગ્સ લેતા
હતા કે સ્મૃતિની અલખ જગાવવા માટે? એવું પણ શક્ય હોય કે તેઓ જીવનના પડકારોથી
ડરીને ભાગવા માગતા હતા અને માતા-પિતાના સંબંધ માત્ર એક બહાનું કરીને
કાલ્પનિક દુ:ખનું સર્જન કરીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો બાલિશ પ્રયાસ પણ
કરતા હોય. જીવનમાં આવી સહાનુભૂતિ પ્રાપ્ત કરવાની અપેક્ષા ન રાખવી જોઈએ.
જીવનની વાસ્તવિક્તાને સાહસ સાથે સ્વીકારવી જ એકમાત્ર માર્ગ છે. આવું આચરણ
કાયરતા છે અને એવો દાવો કરવામાં આવે છે કે તેઓ લાગણીશીલ વ્યક્તિ છે.
ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ વી મેટ’નો યુવાન નાયક પોતાની માતાના કોઈ અન્ય
પુરુષ સાથે પ્રેમ કરવાની તથાકથિત બદનામીથી ડરીને જીવનથી પલાયન કરતી વખતે એક
સ્વસ્થ દૃષ્ટિકોણ ધરાવતી યુવતીને મળે છે, જે તેને જણાવે છે કે તેની માતાએ
પ્રેમ કર્યો છે, કોઈ ગુનો નહીં. જીવનમાં જ્યારે પણ સાચો પ્રેમ મળે, તેને
ખુલ્લા દિલે સ્વીકારવો જોઈએ. માતા-પિતાથી જો કોઈ ભૂલ થતી હોય તો તેને કારણે
ખુદના જીવનને બરબાદ કરવું ઉચિત નથી. આવા સ્પષ્ટ સંવાદથી નાયકને જીવનનો એક
નવો માર્ગ મળે છે. આ જ સકારાત્મક વિચારધારા છે.
Comments
Post a Comment