અવિરત વહેતું માતાનું વાત્સલ્યઝરણું
માદા પ્રાણીઓ તેમનાં બચ્ચાંઓ માટે જરૂર પડે, ત્યારે તેઓ કેવી રીતે જાનની બાજી લગાવી તેમને બચાવે છે . માદા કાંગારુ ભાગ્યે જ તેમનાં બચ્ચાં સાથે શિકારીના હાથે ઝડપાય છે. શિકારી પાછળ હોય ત્યારે દોડતાં દોડતાં થોડીક ક્ષણો પહેલાં જ જાણે તેને પોતાના અંત સમયની જાણ થઇ જતી હોય તેમ બચ્ચાંને સલામત જગ્યાએ મૂકી ફરી દોડવા લાગે છે. જો તે મરી જાય તો તેના પેટ પર આવેલ કોથળી મોટે ભાગે ખાલી જ મળી આવે અને જો તે બચી જાય તો પોતાનાં બચ્ચાં પાસે પાછું આવે છે. સિંહણે ૨૦ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયેલા બચ્ચાંને બચાવવા ખાડામાં છલાંગ લગાવી. કલાકો સુધી ગર્જના કરી જંગલમાં અન્ય વ્યક્તિઓનું ધ્યાન ખેંચવામાં તે સફળ થઇ. બચ્ચાંને બચાવી લેવામાં આવ્યાં. સિંહણને કાઢવા થોડો વધુ સમય ગયો. અંતે તે મૃત હાલતમાં મળી આવી.
સંતાનો માટે જ્યારે કરી છુટવાની વાત આવે ત્યારે આર્થિક, શારીરિક અને માનસિક રીતે માતાની સર્વે શક્તિઓ સોળે કળાએ ખીલી ઊઠે છે. મા, માતા, મૈયા, માઇ, અમ્મા, મોમ શબ્દોની સંધિ છુટી પાડતાં અ કે આ આવે છે. આ ‘અ’ કે ‘આ’ અવાજ નાભિના ઊંડાણમાંથી આવે છે. ખરેખર મા એ કોરો શબ્દ નથી. ઐશ્વરીય અનુભૂતિ કરાવતી એક ચમત્કૃતિ છે. ‘દીવાર’ પિકચરમાં અમિતાભના ‘મેરે પાસ સબકુછ હૈ, તેરે પાસ ક્યા હૈ?’ સવાલનો ‘મેરે પાસ માં હૈ’ જવાબ આપતાં શશી કપૂરની બોડી લેંગ્વેજ યાદ છે? જાણે તે દુનિયાનો સૌથી અમીર હોય તેમ તેના મોઢા પરની ખુમારી જ અવર્ણનીય હતી.
માતા માટે ક્યાંક વાંચેલું. ‘પહેલાં હું રડતો ત્યારે તું હસાવવા પ્રયત્ન કરતી અને હવે તારી યાદ આવે છે અને આંખમાં આંસુ આવે છે.’ માતા મહાતીર્થ અમસ્તું જ નથી કહેવાયું. માતાના વાત્સલ્યના તાણાવાણા પણ કેટલા મજબૂત અને અદ્ભુત હોય છે તે એક અનુભવથી જાણવા જેવું છે. સવારના ૧૦થી સાંજના ૬ સુધી નોકરી કરતી પાંચ મહિનાના બાળકની માતા કહે છે, ‘લગભગ પોણા પાંચે મારી છાતીમાં દૂધ ભરાવા લાગ્યું. ઘરે બાળકને રાખનાર એક કુટુંબીજને કહ્યું, પોણા પાંચે અથૉત્ તે જ સમયે ઘરમાં બાળકે પણ રડવાનું શરૂ કરી દીધેલું.’
ઇન્જેકશન આપતાં પહેલાં ડોક્ટરને ‘ઓ મમ્મી, ઓ માડી રે’ જેવા શબ્દો રોજ સાંભળવા મળે છે. વડીલોમાં ફક્ત માને ‘તું’ કહીને બોલાવી શકાય છે. વિશ્વપ્રસિદ્ધ ઘણા કલાકારો, વૈજ્ઞાનિકોને સમાજ, શાળામાંથી જાકારો મળ્યો હતો, પણ માતાના હૃદયમાં જેઓનું સ્થાન યથાવત્ હતું તેઓ દુનિયા માટે અકલ્પનીય કાર્યો કરી શક્યા. થોમસ આલ્વા એડીસને કહ્યું હતું, ‘હું મારી જિંદગીમાં ચમત્કારિક પરિણામ લાવી શક્યો કારણ કે મારી પ્રેમાળ માએ મારામાંથી કદી વિશ્વાસ ગુમાવ્યો નહીં.’
માનું મગજ બાળક માટે સતત શ્રેષ્ઠ વિચારતું અંગ છે. આંખોમાં કરુણા અને ક્ષમા છે. હૃદયમાં વાત્સલ્યનો અખૂટ ભંડાર છે. હાથમાં અભયદાન છે. તેનાં ચરણો આચરણ અને દિવ્યતાનાં પ્રતીક છે. તેનું રોમેરોમ બાળક માટે સતત ધબકતું અને જીવિત હોય છે. રસ્તા પર બેસી વાંસનાં છાબડાં, ટોપલી બનાવતી એક ગરીબ આદિવાસી માના શબ્દો ‘રાત્રે છોરાને બહુ તાવ આવ્યો. આખી રાત વાંસના ટોપલા બનાવી ૨૦૦ રૂપિયા ભેળા કર્યા છે. તેટલામાં દવા આવી જશે ને?’
એવું કહેવાય છે કે મનુષ્યને પ્રેમની પ્રતીતિ કરાવવા ઇશ્વરે માતાનું સર્જન કર્યું હશે. જન્મ આપીને તથા છેલ્લા કલાકોના થાક બાદ પણ તરત જ સંતાનને ધાવણ આપવા શારીરિક તથા માનસિક રીતે સજ્જ થઇ જતી માતાને સહકાર આપવો તે દરેક કુટુંબીજનની ફરજ અને પુણ્યનું કાર્ય કહી શકાય
Comments
Post a Comment