પ્રેમ જો સાચો હોય તો તેની અસર મનગમતા પાત્ર પર થયા વિના રહેતી નથી. એકબીજાને પોતપોતાની ખામી-ખૂબી સાથે જ મુક્ત રીતે અપનાવે તે જ સાચો પ્રેમ કહી શકાય.
સારિકા રાહ જોતી હતી, ૧૪ ફેબ્રુઆરીની, વેલેન્ટાઇન ડે આવે તેની, જેથી પોતે પ્રિયાંશુ સમક્ષ પ્રણયનો એકરાર કરે. મોટા ભાગના પ્રેમીપંખીડા ફેબ્રુઆરી મહિનાની આતુરતાથી રાહ જોતાં હોય છે. ક્યારે વેલેન્ટાઇન ડે આવે અને પોતાના પ્રેમીજન સમક્ષ પ્રણયનો એકરાર કરે? ક્યારે પોતાની લાગણીને શાબ્દિક રૂપ આપી કોઇ સુંદર મજાની ભેટમાં પેક કરી પોતાના મનના માણીગરને આપે અને તેની સ્વીકૃતિ મેળવે?
આવી વાત સાંભળીએ કે આ રીતે કોઇ ખાસ દિવસે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતાં જોઇએ ત્યારે એક સવાલ મનમાં ઉદ્ભવે છે. શું પ્રેમ વ્યક્ત કરવા માટે એક જ દિવસની જરૂર હોય છે? શું પ્રેમ માત્ર તમે આપેલી સુંદર ભેટ દ્વારા જ વ્યક્ત થઇ શકે છે? એટલી સસ્તી છે આ પ્રેમભાવના કે જે થોડાઘણા રૂપિયાની ભેટમાં જ વ્યક્ત થઇ જાય છે!
ના, પ્રેમ તો અમૂલ્ય છે અને તે અભિવ્યક્ત કરવા માટે તો વર્ષના ત્રણસો ને પાંસઠ દિવસ પણ ઓછા પડે. આવા અમૂલ્ય ભાવને આજની યુવાન પેઢીએ કેટલો સસ્તો બનાવી દીધો છે. ઘણાખરાને ખબર નહીં હોય કે વેલેન્ટાઇનની ખરી પ્રેમકથા શી હતી? આજના યુવાનો જે મોડી રાત સુધી બાઇક કે એક્ટિવા લઇને પ્રેમિકાને પાછળ અડોઅડ બેસાડી ફરે છે. જે રીતે પ્રેમિકા સમક્ષ પોતાના પ્રણયના એકરાર માટે વ્યાકુળ થતાં જોવા મળે છે, તેમને તમે આવતા વર્ષે વેલેન્ટાઇન ડે પર મળશો, તો ખ્યાલ આવશે કે જે પ્રેમિકા કે સાથીદારને મેળવવા માટે તેઓ તત્પર બન્યા હતા, એ જ વ્યક્તિના અનેક અવગુણોની યાદી સાંભળવા મળશે. શું આ પ્રેમ છે?
મારી વાત સાથે ઘણા પ્રેમીયુગલો સંમત નહીં થાય, માનું છું, પરંતુ ખરેખર હૈયાં પર હાથ રાખીને તમારા અંતરને પૂછી જુઓ કે પ્રેમ શબ્દોનો કે ભેટનો મોહતાજ છે? અરે! તમારી લાગણીમાં, તમારા પ્રેમમાં એટલી ક્ષમતા, એટલું ઊંડાણ કેમ નથી કે પ્રેમીજન તમને તમે જેવા છો એવા સ્વીકારે. તમારામાં એટલી હિંમત કેમ નથી કે તમારી લાગણી વ્યક્ત કરવા માટે એક ખાસ દિવસની રાહ જોવી પડે છે? હું વેલેન્ટાઇન ડેની વિરુદ્ધ છું એવું રખે માની લેતાં. દરેકની પોતપોતાની માન્યતા અને ધારણા હોય છે.
પ્રેમ કરવાની દરેકની આગવી શૈલી હોય છે, પરંતુ જો ખરેખર તમે કોઇને પ્રેમ કરતાં હો તો એને કોઇ પણ સમયે, કોઇ પણ સ્થળે અને ગમે તેટલા લોકોની હાજરીમાં પણ વ્યક્ત કરવાની હિંમત ધરાવો. તમારા પ્રેમ પર એટલો વિશ્વાસ તો તમને હોવો જ જોઇએ કે મારો પ્રેમ સાચો છે અને મારી પ્રેમિકા કે મારો સાથીદાર મારી લાગણીને નકારશે નહીં જ.
આ દ્રઢતા તમારામાં, તમારા પ્રેમભાવમાં હોય તો જ આગળ વધો. વેલેન્ટાઇન નામના એ સંત પોતાની પ્રેમિકાને જવલ્લે જ મળ્યા હતા. છતાં તેમનો પ્રેમ એટલો દ્રઢ હતો કે અનેક મુશ્કેલીઓ છતાં તેમની ભાવનામાં ઓટ આવી નહોતી. તમારા દિલને પૂછો કે તમે સાથીદાર માટે કેટલી મુશ્કેલીનો સામનો કરી શકો એમ છો?
મળવા આવવાની વાત કહી હોય અને જરાસરખું મોડું થઇ જાય તો? તરત જ વાંધો પડી જાય છે. કોઇ અન્ય યુવતી કે યુવાન સાથે વાત કરતાં જુએ કે પહેલો પ્રશ્ન એ થાય કે કેમ એની સાથે વાત કરી? એની સાથે તમારે કેવા સંબંધ છે? આ પ્રેમ નથી. આ તો અધિકારની ભાવના આવી ગઇ. પ્રેમમાં અધિકાર ત્યારે જ આવે, જ્યારે બંને સાથીદાર એકબીજાને મુક્ત રીતે અપનાવે, એની ખામી-ખૂબી સહિત સ્વીકારે. આવું કેટલા લોકો કરી શકે છે?
તમને થશે આજે આને થયું છે શું? આ કેમ આવા સવાલો કરીને પ્રેમની વિરુદ્ધ ભાષણ કરવા લાગી છે? બરાબર ને? પણ શાંતિથી વિચારશો તો તમે પણ મારી વાત સાથે સંમત થશો કે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ શબ્દોની, ભેટની કે અન્ય કંઇ કરવાની જરૂર નથી. સાચો પ્રેમ હંમેશાં તેનો પ્રભાવ સામેવાળા પાત્ર પર કરે જ છે. જો તમારો પ્રેમ સાચો હોય, તમારી લાગણી ખરેખર અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવી હોય તો સાથીદારને એની જાણ થશે, એ જરૂર સ્વીકારશે. આ વેલેન્ટાઇન ડે પર તમને પણ તમારા સાચા સાથીદાર અને સાચો પ્રેમ મળી રહે એવી શુભકામના.
Comments
Post a Comment