લગ્ન કરી ઓસ્ટ્રેલિયા પરત જતા રહેલા યુવાને ત્યાંથી ફોન કરી કહ્યું કે મેં બીજી પત્ની શોધી લીધી છે
દીકરી માટે વિદેશનો જ મુરતિયો શોધવાનો આગ્રહ રાખતાં માતા-પિતા માટે બોધપાઠરૂપ ગણાય તેવો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઓસ્ટ્રેલિયાથી લગ્ન કરવા આવેલા મુરતિયાએ ઓઢવમાં રહેતી અને બીસીએનો અભ્યાસ કરતી સ્વરૂપવાન યુવતી સાથે સવારે સગાઈ કરી, બપોરે લગ્ન કર્યા અને રાતની ફ્લાઇટમાં બેસીને ઓસ્ટ્રેલિયા જતો રહ્યો હતો.
ત્રણેક માસ અગાઉ યુવાને ઓસ્ટ્રેલિયાથી પત્નીને ફોન કરીને કહી દીધું હતું કે, ‘હું તને છૂટાછેડા આપું છું, હું ઓસ્ટ્રેલિયામાં સેટ થઈ ગયો છું અને મેં પત્ની શોધી લીધી છે.’ એક જ દિવસમાં જિંદગી બગાડીને ઓસ્ટ્રેલિયા જતા રહેલા મુરતિયા અને તેના પરિવારના સભ્યોને બોધપાઠ શીખવવા યુવતીએ મક્કમ થઈને ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આ પ્રકરણ બહાર આવ્યું છે. ઓઢવ વિસ્તારમાં રહેતા શ્રીમંત પરિવારની દીકરી પાયલ (ઉં.વ.૨૦, નામ બદલેલ છે) ૨૦૧૦માં બી.સી.એ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.
માતા-પિતા પાયલ માટે મુરતિયો શોધી રહ્યાં હતાં. દરમિયાન મિત્રવર્તુળમાંથી પાયલના પિતાને સંદેશો મળ્યો હતો કે નવા નરોડા સન સિટી બંગલોઝમાં રહેતા કાનજીભાઈ મૂળજીભાઈ પટેલનો દીકરો જયેશ બે વર્ષ અગાઉ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગયો હતો અને લગ્ન કરવા માટે ઓગસ્ટમાં અમદાવાદ આવ્યો છે.
જેથી પાયલના પિતાએ ૨ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ જયેશ અને તેના પરિવારના સભ્યોને ઘરે બોલાવ્યા હતા. બંને પરિવારના સભ્યો સંમત થઈ જતાં તા.૯ ઓક્ટોબર -’૧૦ના રોજ સવારે ૧૧ વાગ્યે પાયલના ઘરમાં જ સગાઈ કરાઈ હતી અને બપોરે ૩ વાગ્યે બાપુનગરના ગાયત્રી મંદિરમાં લગ્ન કર્યા હતાં, જેની નોંધણી કરાવી હતી.
જો કે જયેશની તે જ રાતની ઓસ્ટ્રેલિયા પાછા જવા માટેની ૧૧.૧૫ વાગ્યાની ફ્લાઇટ હોવાથી તે રાતે ૮ વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. જો કે પાયલ અભ્યાસ કરતી હોવાથી પિયરમાં જ રહેતી હતી અને વાર-તહેવારે કે રજામાં સાસરીમાં રહેવા જતી હતી.
લગભગ ૩ માસ અગાઉ જયેશે ફોન ઉપર જ કહી દીધું હતું કે, ‘મને ઇન્ડિયન છોકરીઓ ગમતી જ નથી, મેં તો મારા પપ્પાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા હતાં પણ હવે હું અહીં મારી રીતે સેટ થઈ ગયો છું અને મેં પત્ની શોધી લીધી હોવાથી હું તને છુટાછેડા આપું છું.’જયેશની વાત સાંભળીને પાયલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પાયલના સાસરિયાઓની ધરપકડ કરાઈ
પાયલે ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, જયેશ, તેના સસરા કાનજીભાઈ, જેઠ સંજયભાઈ અને નણંદ નયના લગ્નના એક માસ બાદથી જ પાયલને દહેજ બાબતે શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતાં હતાં.ઓઢવ પોલીસ મથકના પીએસઆઇ જી.બી. ચાવડાએ સોમવારે કાનજીભાઈ, સંજયભાઈ અને નયનાબહેનની ધરપકડ કરી હતી, જ્યારે જયેશ વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જારી કરવા તજવીજ હાથ ધરી છે.
Comments
Post a Comment