“યે દોસ્તી હમ નહીં તોડેંગે....!” – શોલે
જ્યારે અમિતાભના પિતાને R પાંચ હજાર માટે મારવા પડે છે વલખાં
1951માં
કવિ હરિવંશરાય બચ્ચનન વિલાયત જઈને અંગ્રજીનો ઉચ્ચ અભ્યાસ કરવાનો વિચાર
આવ્યો. એમણે કેમ્બ્રિજ અને ઑક્સફોર્ડ એમ બંને યુનિવર્સિટીઓને આ બાબતના
વિનંતીપત્રો મોકલી આપ્યા. સાથે ‘‘મધુશાલા’’ની એક-એક નકલ પણ મોકલી આપી.
‘મધુશાલા’ તો હિન્દીમા લખાયેલી હતી, અંગ્રેજો એ શી રીતે વાંચી શકે? પણ
‘મધુશાલા’નો અંગ્રેજી અનુવાદ તૈયાર થઈ ગયો હતો, જેનું નામ રાખવામાં આવ્યું
હતું હાઉસ ઓફ વાઈન
જો ‘મધુશાલા’ની કવિતા વાંચીને ગંગાજળ પીતો ભારત
દેશ ઝૂમી ઉઠ્યો હોત, તો પછી જન્મ્યા બાદ ગળથૂથીમાં જ શેમ્પેઈન, વ્હિસ્કી કે
વાઈન ચાખનારા અંગ્રેજોને તો ગુંલાટો જ ખાવા માંડે ને!
તરત જ કવિ
બચ્ચનજીને બંને યુનિવર્સિટીઝ તરફથી સંમતિનાં પત્રો મળી ગયાં. કેમ્બ્રિજમાં છ
મહિના ભણવાનું હતું અને ઑક્સફોર્ડમાં નવ મહિના.
ખાટલે મોટી ખોટ એ
હતી કે વિલાયતમાં રહેવા તથા જમવા માટે રૂપિયા જોઈએ અને એટલા સમય પૂરતા
અલ્લાહાબાદમાં ખર્ચ પણ કાઢવાનો હતો. આ બધું મળીને પાંચ હજાર રૂપિયાની જરૂર
હતી.
‘મધુશાલા’નાં કવિ કાગળ ઉપર તો હજારો રૂપિયાનાં મૂલ્યનો શરાબ
વહાવી શકતાં હતાં, પરંતુ વાસ્તવિક જીંદગીમાં ખાલી ખિસ્સાવાળા હતાં. એ તો
હાથ જોડીને, વિચાર માંડી વાળીને બેસી ગયા, પણ તેજી શીખ પિતાનું ફરજંદ હતાં.
એમણે પતિને પ્રોત્સાહન આપ્યું.
એક પ્રકાશક લાંબા સમયથી કવિની પાછળ પડી ગયો હતો, “તમારી થોડીક કવિતાઓ મને આપો! એક પુસ્તક હુંએ પ્રકટ કરવા માંગું છું.”
કવિએ
‘સોપાન’ નામનો સંગ્રહ બહાર પાડવાનો અધિકાર એ પ્રકાશકને લખી આપ્યો; બદલામાં
પાંચ હજાર રૂપિયા એડવાન્સ પેટે માંગ્યા. પ્રકાશકનો ઉત્સાહ મંદ પડી ગયો એણે
ના પાડી દીધી.
તેજીનાં મનમાં એકવાર ઈચ્છા થઈ આવી કે તે પોતાનાં
પિયરમાં કરે. ખઝાનસિંહને મન પાંચ હજાર રૂપિયા એ મૂંછનો એક વાળ તોડવા બરાબર
હતું. પણ બીજી જ પળે તેજીએ આ વિચાર માંડી વાળ્યો. ખૂમારી ગીરવે મૂકીને પિતા
પાસેથી પાંચ હજાર રૂપિયાની જોગવાઈ કરવાનું પગલું એમને મંજૂર ન હતું.
કવિએ
મિત્રોનાં કાન પર ટકોરા મારી જોયા.પણ પથ્થરો પોલા હશે કોને ખબર, ને મિત્રો
પણ બોદા હશે કોને ખબર?! કવિને એ દિવસે સમજાઈ ગયું કે દુનિયામાં દોસ્તી
જેવી કોઈ ચીજ હોતી જ નથી.
અંતે એક રાતે તેજીએ પતિને કહ્યું, “તમે સરકાર પાસે કેમ જતા નથી? તમે દિલ્હી જાઓ અને સરકાર સમક્ષ હાથ લાંબો કરો!”
કવિ ભોળા અને નિષ્કપટ હતાં; ‘સરકાર’નો મતલબ સમજતાં એમને વાર લાગે તેવું હતું. તેમછતાં બીજા દિવસે તેઓ ઉપડ્યા ખરા! ચલો દિલ્હી…!
બચ્ચનજી પૂછી જ લેતાં, “તો કોના હાથની વાત છે?”
દિલ્હી
પહોંચીને બચ્ચનજી સૌથી પહેલા શિક્ષણ સચિવ હુમાયું કબીરને મળ્યાં.રજૂઆત
કરી. સચિવશ્રીએ પૂરી વાત સાંભળી તો ખરી, પરંતુ રૂપિયા આપવાની સ્પષ્ટ ના
પાડી દીધી, “આવી આર્થિક સહાય આપવી તે મારા હાથની વાત નથી.”
“તો કોના હાથની વાત છે?” કવિ આટલું તો માંડ પૂછી શક્યા
“તમે
શિક્ષણમંત્રીશ્રીને મળો!” હુમાયું એ બાબરનું સરનામું ચીંધી દીધું. કવિ ખભે
થેલો ભરાવીને ઊપડ્યા શિક્ષણમંત્રીનાં કાર્યાલયમાં. ભારતનાં આમ આદમી માટે
દેશનાં કેન્દ્રીય પ્રધાનને મળવું એ આજે તો અશક્ય વાત ગણાવી છે. પણ બચ્ચનજી
કવિ તરીકે એટલું મોટુ નામ બની ચૂક્યા હતાં કે એમને પ્રધાનશ્રીની ઓફિસમાં
પ્રવેશ મળી ગયો.
સૌથી મહત્વનું કારણ એ પણ હતું કે એ સમયે
શિક્ષણપ્રધાનની ખુરશીમાં મૌલાના આઝાદ બિરાજમાન હતાં. એમને બદલે જો આજનાં
જેવો કોઈ કૌભાંડી નેતા બેઠો હોત તો એણે ચોક્કસ આવો જવાબ આપ્યો હતો, “મેં
‘મધુશાલા’ વાંચી નથી, મેં તો ફક્ત મધુ (મદિરા) ચાખી છે. હું કોઈ કવિ-બવિને
ઓળખતો નથી!”
મૌલાના આઝાદે કવિને માનપૂર્વક આવકાર્યા, ધ્યાનપૂર્વક
એમની વાત પણ સાંભળી, પરંતુ પછી એમણેય હાથ ઊંચા કરી દીધા, “જો મારા સચિવે
તમને ના પાડી છે, તો મારી પણ ના જ છે. કબીરે જે કારણ બતાવ્યું તે સાચું જ
હશે. આ વાત અમારી સત્તાની મર્યાદાની બહારની વાત છે.”
“તો કોની સત્તાની મર્યાદાની અંદર હોઈ શકે?”
“રાષ્ટ્રપતિને મળી જુઓ! તેઓ દેશનાં બંધારણીય વડા છે.”
શિક્ષણમંત્રી
મૌલાના આઝાદની સલાહ ગાંઠે બાંધીને કવિ નીકળી પડ્યાં. તે સમયે ભારતનાં
રાષ્ટ્રપતિ પદે સ્વનામધન્ય શ્રી. રાજેન્દ્રબાબુ બિરાજમાન હતાં. ભૂતકાળમાં
મુઝફ્ફરપુરની એક જાહેરસભામાં રાષ્ટ્રપતિશ્રી અને કવિરાજ એક જ મંચ ઉપર ભેગા
થઈ ગયાં હતાં. એ વખતે બંધાયેલી ઓળખણ કવિને તો યાદ હતી, પણ રાષ્ટ્રપતિને યાદ
હશે?
રાજેન્દ્રબાબુએ પટ્ટાવાળાનાં હાથમાંથી ચિઠ્ઠી લઈને વાંચી.તરત જ
બચ્ચનજીને ઓળખી ગયાં. અંદર બોલાવી લીધાં. ફરી પાછો એ જ સિલસિલો, “ફરમાઈએ!
મેં આપકે લિયે ક્યા કર સકતા હૂં? અને એના જવાબમાં કવિ દ્વારા રજૂઆત પામતી
પૂરી કથા.
કથાનાં અંતમાં જેવું આ વાક્ય બોલાયું, “મારે આર્થિક સહાયની જરૂર છે; જો સરકાર મને પાંચ હજાર રૂપિયા આપે તો...”
રાજેન્દ્રબાબુનાં
ચહેરા સ્મિતવિહોણો બની ગયો, “બચ્ચનજી હું તો માત્ર બંધારણીય વડો છું. પાંચ
હજાર તો શું પાંચ પૈસા પણ સરકારી તિજોરીમાંથી કોઈને આપી શકું તેવી મને
સત્તા નથી.”
“તો કોની પાસે એવી સત્તા છે?”
ઠદેશની સંસદ પાસે.
પાર્લામેન્ટમાં જો બહુમતી સંસદસભ્યો મત આપીને આ પ્રકારનો ઠરાવ પાસ કરે તો
જ...” રાજેન્દ્રબાબુ ના પાડવા માટે મજબૂર હતાં અને બચ્ચનજીની આ છેલ્લી
આશાનો તાંતણોયે તૂટી ગયો એ વાતથી નારાજ હતાં. કવિ ઊભા થઈને ઓફિસમાંથી
ચાલ્યા ગયાં. ટ્રેનમાં બેસીને સીધા અલ્લાહાબાદ ભેગા થઈ ગયાં.
બચ્ચનજી ભાંગી જ પડ્યાં હતાં ત્યાં 'સરકાર' વાત સાંભળી ખરી
દિલ્હીની
ત્રણ દિવસની રઝળપાટે બચ્ચનજીને માનસિક રીતે ભાંગી નાખ્યા હતાં. એમનાં
શરીરમાં પણ થાક હતો, નજરમાં ઉદાસી હતી અને મોં વીલું હતું. ઘરમાં પગ
મૂકતાંની સાથે જ એમનાં મોંમાંથી આ વાક્ય સરી પડ્યું, “દિલ્હીમાં કામ ન
થયું.”
તેજી ઉશ્કેરાઈ ગયાં, “કામ ન થયું? ત્યાં તમે કોને મળ્યાં
હતાં? બચ્ચનજીએ જવાબમાં પૂરી દાસ્તાન વર્ણવી દીધી. એમાં ત્રણ નામો સામેલ
હતાં, “શિક્ષિણ સચિવ, શિક્ષણ મંત્રી અને રાષ્ટ્રપતિ.”
તેજીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો, “અરે, તમે પણ ખરા છો! મેં તમને કહ્યું હતું કે દિલ્હીમાં જઈને તમે સરકારને મળજો! આ તમે કોને મળી આવ્યા?”
કવિ પત્નીનું કહેવું સમજ્યા નહીં, “કેમ, કોને એટલે? આ બધાંએ મહાનુંભાવો છે જે સરકારમાં શિક્ષણ ખાતા સંબંધિત કામગીરી સંભાળે છે.”
તેજીએ કપાળ કુટ્યું, “હે ભગવાન! તમને મારી વાત કેમ સમજાતી નથી! અરે, સરકાર એટલે...! સરકાર એટલે એ જે આપણને ઓળખે છે.”
“પણ હુમાયુ કબીર, મૌલાના આઝાદ અને રાજેન્દ્રબાબુ પણ મને ઓળખતાં નીકળ્યાં!”
“ભલે! એ ત્રણેય જણાંએ તમારું નામ સાંભળ્યું હશે. કદાય તમારી કવિતાઓ વાંચી હશે. પણ એ લોકો તમારા મિત્રો નથી...?”
“મિત્ર!?
દિલ્હીમાં? ઓહ્ તું પં. નહેરુની વાત કરે છે? મને માફ કરજે; હું પંડિતજી
સમક્ષ અંગત યાચના માટે હાથ લાંબો નહીં કરું. કદાય તેઓ ના પાડી દે તો મને
મરવા જેવું થાય.”
તેજીએ મક્કમતાપૂર્વક કહી દીધું, “ના, હું આવું
ચલાવી નહીં લઉં. તમારે દિલ્હી જવાનું છે અને પંડિતજીને મળવાનું જ છે. મને
વિશ્વાસ છે કે તેઓ સહાય માટે ના નહીં કહે. અને તમે ક્યાં અંગત સ્વાર્થ માટે
હાથ લાંબો કરો છો?! સરકારી મદદ મેળવીને તમે વિલાયત જશો અને ત્યાં જે કંઈ
શીખશો, તે પાછા આવીને દેશને જ પરત આપવાનાં છો ને? મહેરબાની કરીને તમે હિંમત
ન હારો! કાલે જ પાછા દિલ્હી પહોંચી જાવ!”
કવિ બહુ ભીરૂ હતાં. નહેરુ
એમના મિત્ર બની ગયાં હતાં એ સાચું પણ એમને જાણ કર્યા વગર બારોબાર કંઈ એમને
મળવા માટે થોડું પહોંચી જવાય? બચ્ચનજીએ એક પત્ર લખીને વડાપ્રધાનનાં સરનામે
પોસ્ટ કરી દીધો. એમાં મુલાકાત માટે સમય ફાળવવાની વિનંતી કરવામાં આવી હતી.
દસ
દિવસ પછી જવાબ મળી ગયો. નહેરુજીએ કવિને બોલાવ્યા હતાં. પાર્લામેન્ટ હાઉસની
ઓફિસમાં બચ્ચનજી પં. નહેરુને મળ્યાં. બંને એકલા જ હતાં. નહેરુજી ટેબલ પર
પડેલા કાગળમાં પેન્સિલ વડે આડીઅવળી લીટીઓ તાણી રહ્યાં હતાં. કવિ બેચેન
હતાં; એમને લાગ્યું કે જાણે પંડિતજી પોતાની વાત સાંભળવા પ્રત્યે બેધ્યાન
હતાં. તેમ છતાં કવિ હિંમત હાર્યા વગર ધીમે-ધીમે,મુદ્દાસર, સૌમ્યપણે પોતાની
વાત રજૂ કરવા લાગ્યા.
પંડિતજી કશું જ બોલતા ન હતાં. કવિએ કબીર, આઝાદ
અને રાષ્ટ્રપતિને મળ્યાં હતાં એ વાત પણ કહી નાંખી. પછી એ ખામોશ થઈ ગયાં.
પંડિતજીએ એમની સામે જોયું. કવિની આંખોમાં ભીનાશ હતી.
બરાબર એ સમયે
વડાપ્રધાનનાં અંગત સચિવ ટી.એન.કૌલ અંદર આવ્યાને પં.નહેરુએ કહ્યુ, “મિ. કૌલ,
મારા મિત્રને મળો, આ છે હિંદી ભાષાનાનાં ખ્યાતનામ કવિ શ્રી. હરિવંશરાય
બચ્ચન. એમના માટે સરકાર તરફથી આઠ હજાર રૂપિયાની ગ્રાન્ટની વ્યવસ્થા કરી દો!
તેઓ ઉચ્ચ અભ્યાસઅર્થે ઈંગ્લેન્ડ જવા માંગે છે...”
“યસ સર! પણ એ રકમ લોન પેટે મંજૂર કરવાની છે? કે ગ્રાન્ટ લેખે?”
“ગ્રાન્ટ લેખે!” પં. નહેરુએ આદેશ ફરમાવ્યો. લોન પરત કરવાની હોય છે, ગ્રાન્ટ પેટે મળેલી રકમ પાછી આપવાની હોતી નથી.
પં. નહેરુ એવા અવાજમાં બોલી રહ્યા હતાં કે મિ, કૌલ સમજી ગયા કે આ કામ ત્વરીતપણે આટોપી લેવાનું છે.
કવિની
આંખો છલકાઈ ગઈ. કાનમાં તો જાણે બહેરાશ વ્યાપી ગઈ હતી. શું આ સ્વપ્ન તો ન
હતું ને! દેશનો વડાપ્રધાન એક અકિંચન સાહિત્યકાર માટે એક ઝાટકે આટલી મોટી
રકમ (એ સમયે આઠ હજાર રૂપિયા ખૂબ મોટી રકમ ગણાતી હતી) મંજૂર કરી શકે ખરો?!
બચ્ચનજીએ
બે હાથ જોડીને આભાર માન્યો, પછી પંડિતજીની રજા લઈને જવા માટે ઊભા થયાં.
સંસારનાં તમામ ર્દશ્યો હવે એમને ધૂંધળા દેખાઈ રહ્યા હતાં. બહાર આવીને એમણે
હાથ રૂમાલ વડે પહેલા તો ચશ્માનાં કાચ લૂછ્યા, પછી ખબર પડી કે લૂછવા જેવી તો
આંખો હતી!
જ્યારે અલ્લાહાબાદ પહોંચીને કવિએ આ સમાચાર જાહેર કર્યા,
ત્યારે તેજી પણ ખુશીનાં માર્યા રડી પડ્યાં, “જોયું! હું તો નહોતી કે’તી કે
દિલ્હી જઈને તમે સરકારને મળો! એ જરૂર તમારુ કામ કરી આપશે.”
અમિતાભ એ
પછી દાયકાઓ બાદ ‘સરકાર’ ફિલ્મમાં સરકાર બનવાનાં હતાં. એંશીનાં દાયકામાં એ
ખુદ દેશનાં વડાપ્રધાનનાં દોસ્ત બની રહેવાનાં હતાં. એમનાં માથે પણ બોફોર્સની
કટકીનો આરોપ લાગવાનો હતો. પણ આ કૂમળી વયે પહેલીવાર એને ખબર પડી કે દેશનાં
સર્વોચ્ચ સ્થાન પર બેઠેલી વ્યક્તિનાં મિત્ર હોવું તે કેટલા સૌભાગ્યની વાત
છે! એક રાજા હતો, એક પ્રજા હતો! હજારો વર્ષો બાદ દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને
કંગાળ સુદામા વચ્ચેનું ર્દશ્ય પૂનઃ ભજવાયેલું અમિતે જોયું હતું.
કટ ટુ: ‘75માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ શોલેમાં અમિતજી અને ઘરમ પાજી આ ગીત ગાય છે: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે...’
પં. નહેરુ અને કવિ બચ્ચનજીની ગાઢ મૈત્રી આગળ જતાં કેવા પરિમાણો સર્જે છે એ જાણવું રસપ્રદ બનશે.
Comments
Post a Comment