ડૉન કો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ!
અમિતાભ
બચ્ચનને ઘરમાં સૌ મુન્નો કહીને બોલાવતા હતા; ખાસ તો એમની માતા તેજી બચ્ચન.
મુન્નો જ્યારે અઢી વર્ષનો હતો ત્યારે એક વાર ખોવાઈ ગયો હતો.
હકીકત આ
પ્રમાણે બની હતી, તેજી બચ્ચનનાં પિતાજી ખઝાનસિંહ બીમાર હતાં. એવા સમાચાર
હતાં કે આ એમની આખરી માંદગી હતી. આ વખતે તેઓ બચશે નહીં. જો કે, એમની બીજી
દીકરીઓ તથા જમાઈઓ એવું ન્હોતા ઈચ્છતા કે તેજી પોતાનાં બીમાર પિતાની ખબરઅંતર
પૂછવા માટે જાય. આનું પાછળનું કારણ સંપત્તિની લાલચ હતી. ત્રણેય મોટી
બહેનોને મનમાં એવો ડર હતો કે તેજીનાં પ્રેમલગ્નથી નારાજ એવા ખઝાનસિંહે
તેજીને પોતાની મિલકતનાં વારસાહકમાંથી બેદખલ કરી દીધાં હતાં, તે અંતિમ સમયે
દીકરીને જોઈને દ્રવી જશે અને કદાચ તેજીનાં હિસ્સાની સંપત્તિ એને આપી દેશે.
તેજીને
જ્યારે આ વાતની જાણ થી ત્યારે એમને ઊંડું દુઃખ થયું. એમણે પતિને જણાવી
દીધું, “મારે પિયરની મિલકતમાંથી એક પૈસો પણ નથી; લેવો પરંતુ મારા પિતાને
છેલ્લીવાર મળવા માટે તો હું અચૂક જઈશ જ.”
કવિના ખુદના માતાજી સૂરસતી પણ મૃત્યુશૈયા પર હતાં; તેમ છતાં એ સાથે જવા માટે તૈયાર થઈ ગયાં.
ખઝાનસિંહ મીરપુરમાં રહેતા હતાં. કવિનું ઘર અલ્લાહાબાદમાં હતું. અલ્લાહાબાદથી મીરપુર જવા માટે લાહૌર સ્ટેશને ટ્રેઈન બદલવાની હતી.
અલ્લાહાબાદથી
લાહૌર તો પહોંચી ગયા, પણ લાહૌર ખાતે ગરબડ થઈ ગઈ. તેજી લાહૌર રેલ્વે
સ્ટેશનની ટિકીટબારી પર મીરપુર ટિકીટો લેવા માટે ગયાં. પતિને કહેતા ગયાં,
“મુન્નાનું ધ્યાન રાખજો ભીડ બહુ છે.”
કવિ વિચારોમાં ખોવાયેલા હતાં,
એમણે શૂન્યમનસ્કપણે હા પાડી દીધી. પણ આગળ સામાન પડેલો હતો. મુન્નાનો હાથ
એમણે ડાબા હાથ વડે પકડી રાખ્યો હતો.
કવિઓ આમ પણ ઘૂની અને ખોવાયેલા
હોય જ છે. હજારો લોકોની ભીડમાં પણ એકાંત શોધી લેવાની એમને આદત હોય છે.
બચ્ચનજી પણ વિચારોનાં એકાંતમાં ખોવાઈ ગયાં. થોડીવાર થઈ એ પછી તેજી ટિકીટો
લઈને પાછા આવ્યાં. પતિને એકલા ઊભેલા જોઈને ચોંકી ગયાં, “મુન્નો કયાં છે?”
કવિ હવે જ ભાનમાં આવ્યા. અને ખબર પડી કે આ તો બેભાન થઈ જવા જેવી ઘટના બની ગઈ છે. ડાબો હાથ ખાલી હતો. મુન્નો ક્યાંય દેખાતો ન હતો.
તેજીએ
રડારોળ કરી મૂકી. દીકરાને શોધવા માટે એમણે આખું પ્લેટફોર્મ ખૂંદી માર્યું.
એકે-એક માણસને પૂછી લીધું, “મારો મુન્નો ગૂમ થઈ ગયો છે; તમે જોયો છે?
કવિની
હાલત કાપો તો લોહી ન નીકળે તેવી હતી. સ્વભાવે તેઓ પહેલેથી જ સરળ અને ઋજુ
હતાં. દીકરો ખોવાઈ ગયો છે એ વિચારમાત્રથી તેઓ મૂઢ બની ગયાં. હૃદયની ગતિ તેજ
બની ગઈ. શરીરે પરસેવો ફૂટી નીકળ્યો. દિમાગમાં શૂન્યતા વ્યાપી ગઈ. પગમાંથી
જોર ચાલ્યું ગયું. જ્યાં ઊભા હતાં, ત્યાં જ ઊભા રહ્યાં. મુન્નાની શોધ માટે
આજુબાજુમાં તપાસ કરવા જેટલી પણ એમનામાં શક્તિ રહી ન હતી.
સારો એવો
સમય પસાર થઈ ગયા પછી અચાનક કોઈકે ખબર આપી, “એક નાનકડો છોકરો પ્લેટફોર્મના
છેવાડે આવેલા બ્રિજ ઉપર ઊભેલો છે ત્યાં કોઈ તપાસ કરો! કદાય એ તમારો મુન્નો
હોય.”
પતિ-પત્ની શ્વાસભેર દોડી પડ્યાં. જઈને જોયું તો નાનકડો અમિતાભ
બ્રિજની રેલીંગ પકડીને ઊભો હતો અને આવતી-જતી ટ્રેનોને રસપૂર્વક જોઈ રહ્યો
હતો. આટલી બધી રેલગાડીઓને એક સામટી એણે ક્યારેય જોઈ ન હતી.
કવિ
બાળમાણસનાં ઊંડા અભ્યાસુ હતાં. એ કશું જ ન બોલ્યા. મુન્નાને વહાલપૂર્વક
જોતા રહ્યા, પણ તેજીએ દીકરાને ખખડાવી નાંખ્યો. થોડીવારમાં જ મીરપુર જતી
ટ્રેઈન પ્લેટફોર્મ ઉપર મૂકાઈ ગઈ. બચ્ચન પરિવારે ગાડીમાં સ્થાન ગ્રહણ કર્યું
એ પછી કવિ બચ્ચનજીએ દીકરાને પૂછયું, “બેટા તું ત્યાં બ્રિજ ઉપર ઊભો રહીને
શું કરતો હતો?”“ગાડીઓ જોતો હતો.” મુન્નો સાચું બોલી ગયો“તને ગાડીઓ જોવાનું
ગમે છે?”“ખૂબ ગમે છે”“સરસ” પિતાએ સમજાવ્યું, “જે વસ્તુ જોવાનું ગમે તે
જોવામાં કશું ખોટું નથી, પણ તારે મને કહેવું જોઈએ ને બેટા! હું પોતે તને
ત્યાં લઈ જાત. હવે પછી મને જાણ કર્યા વગર ક્યાંય જતો નહી.”
મુન્નાઓ
વચન આપ્યું. એ અણસમજુ ઉંમરે આપેલું વચન મુન્નાનાં પ્રચ્છન્ન દિમાગમાં પથ્થર
પરની લકીરની જેમ અંકાઈ ગયું હશે. મોટા થયા પછી અમિતાભ જ્યારે પણ બહાર જતા
હતાં, ત્યારે પિતાને અવશ્ય જાણ કરીને પછી જ ઘરમાંથી બહાર પગ મૂકતા હતાં.
તે સમયે તો મુન્નો નાનો હતો એટલે જડી ગયો હતો; પરંતુ વર્ષો પછી એ કોઈને જડવાનો ન હતો. આવી બિના ફિલ્મ “ડૉન”ના પડદા ઉપર બનવાની હતી.
ટિકીટબારી
ઉપર જેના નામ માત્રથી ટંકશાળ બનવાની હતી એવા અમિતાભ આ સંવાદ બોલવાના હતાં:
“ડૉન કી તલાશ તો ગ્યારહ મુલ્કોં કી પુલિસ કર રહી હૈ; લેકીન ડૉન કો પકડના
મુશ્કિલ હી નહીં, નામુમકીન હૈ.”
અમિતાભ બચ્ચન એક એવા ડૉન બની ગયાં જેનું વિરાટ વ્યક્તિત્વ કોઈની મુઠ્ઠીમાં પકડાઈ શકે નહીં, ઈમેજનાં કોઈ ચોક્ઠામાં જકડાઈ શકે નહીં.
>>>>>
બંટી ઔર અમિતાભ
અમિતાભ
અને અજિતાભ વચ્ચે સાડા ચાર વરસનો ફરક છે. જ્યારે અમિતાભનો જન્મ થયો ત્યારે
1942ની ‘હિંદ છોડો’ ચળવળ ચાલતી હતી. કવિ બચ્ચનજીનાં મિત્ર અમરનાથ ઝાએ સૂચન
કર્યું હતું, “તમારા દિકરાનું નામ ઈન્કિલાબ રાય પાડો! ‘42ની ચળવળની સ્મૃતિ
કાયમી બની જશે.”
પણ તેજી બચ્ચનને આવું નામ પસંદ ન પડ્યું. કવિ
પંતના હોઠો પરથી અનાયાસ સરી પડેલો શબ્દ ‘અમિતાભ’ એમને ગમી ગયો. સાડા ચાર
વરસ પછી જ્યારે બીજા દીકરાનો જન્મ થયો ત્યારે પણ આવું જ બન્યું. 1947નું
વરસ હતું. ભારતની આઝાદી હાથવેંતમાં હતી. ફરીથી એ જ મિત્ર અમરનાથ ઝાએ સૂચન
કર્યું, “આ બીજા દીકરાનું નામ આઝાદરાય રાખો!”
આ નામ પણ તેજીને પસંદ ન
પડ્યું. જોગાનુજોગ આ વખતે પણ કવિ સુમિત્રાનંદ પંત એમના ઘરે મહેમાન બનીને
પધારેલા હતાં. એમણે કહી દીધું, “જો મોટો ભાઈ અમિતાભ હોય તો નાનો ભાઈ અજિતાભ
જ હોઈ શકે.” આમ નાનાં દીકરાનું નામ પણ નક્કી થઈ ગયું.
આઝાદી અને
દેશનાં વિભાજન સમયે બંને દેશોમાં જે ભયંકર રક્તપાત સર્જાયો એના પરિણામ
સ્વરૂપે વિશ્વમાં અભૂતપૂર્વ કહેવાય તેવી હિજરત શરૂ થઈ ગઈ. લાયલપુરમાં રહેતી
તેજીની મોટી બહેન એનાં પતિ અને બાળકોને લઈને અલ્લાહાબાદ આવી ગઈ. આ એ જ
બહેન જે પિતાજીની મિલકતમાંથી તેજીને ફૂટી કોડીયે ન મળે તેમ માટે ષડયંત્રો
ઘડતી હતી. હવે તેજીનાં ઘરમાં નિરાશ્રિત બનીને આશરો લેવાની મજબૂરી એના
ભાગ્યમાં આવી પડી હતી.
નવજાત નાનાં ભાણેજનું હુલામણુ નામ આ માસીએ પાડ્યું બંટી.
અજિતાભ
જ્યારે પેટમાં હતો ત્યારે તેજીની એવી તીવ્ર ઈચ્છા હતી કે આ વખતે દીકરીનો
જન્મ થાય. જો કે, હરિવંશરાય બચ્ચન આત્મવિશ્વાસપૂર્વક કહેતા હતાં, “મનસાની
પેઢીમાં બે દીકરાઓ થશે જ.” કવિની વાણી સાચી પડી. અજિતાભ જન્મ્યો એ વાતથી
તેજી ખૂબ નિરાશ થઈ ગયાં. પુત્રીને ઉછેરવાના કોડ પૂરા કરવા માટે તેઓ ઘણીવાર
અજિતાભને છોકરીનાં કપડાં પહેરાવી દેતા હતાં. કવિને મન તો પત્નીની આ ચેષ્ઠા
પણ માનસશાસ્ત્રનો વિષય માત્ર હતી.
>>>>>
મર્દ કો દર્દ નહીં હોતા...
અમિતાભના
ચૌલકર્મ સંસ્કારનો પ્રસંગ આવી પહોંચ્યો. બાળકનાં જન્મ પછી પહેલીવાર એના
માથાનાં કેશ ઉતારવાની વિધીને ચૌલકર્મ સંસ્કાર કહેવાય છે.
મનસા
ખાનદાનનાં બાળકોનું ચૌલકર્મ વિંદ્યાચલનાં જંગલમાં આવેલા એક મંદિરમાં કરવાનો
રિવાજ હતો. એ વિંદ્યાવાસિની દેવીનું મંદિર હતું. કવિ હરિવંશરાય જ્યારે છ
વર્ષનાં હતાં ત્યારે એમનું મુંડન પણ એ જ સ્થાનમાં કરવામાં આવ્યું હતું.
પણ
એ વખતની ભીષણ યાદો કવિનાં મગજમાં તાજી હતી. એમના ખાનદાની રિવાજ પ્રમાણે આ
પ્રસંગે બાળકનું મુંડન અને દેવી માતાની પૂજા કરવાની સાથે બકરો પણ વધેરવામાં
આવતો હતો. છ વર્ષનાં હરિવંશરાયે જિંદગીમાં પહેલીવાર કોઈ અબોલ પ્રાણીની કતલ
થતાં જોઈ હતી. પછી એ દિવસો સુધી ઊંધી શક્યા ન હતાં.
આ વખતે એમણે
પત્નીને કહી દીધું, “મુન્નાનું મુંડન આપણે ઘરે જ કરીશું; વિંદ્યાવાસિની
દેવીનાં મંદિરે નથી જાવું. ત્યાં બકરો વધેરવો પડશે એ હું સહન નહીં કરી
શકું.”
ઈશ્વરે અમિતાભનાં ચૌલકર્મ વિષે કંઈક જૂદું જ વિચારી રાખ્યું
હતું. એક દિવસે બાળ અમિતાભ ઘરનાં આંગણામાં રમતો હતો ત્યાં અચાનક આવી ચડેલા
એક આખલોએ એને ઊંચકીને ફંગોળી નાંખ્યો. અમિતાભને માથામાં ઊંડો ઘા પડ્યો.
તાબડતોબ એને દવાખાનામાં લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે કહ્યું, “ઘા ઊંડો છે
ટાંકા લેવા પડશે.”
માથાનાં ભાગમાં ટાંકા લેવા માટે વાળ કાપીને દૂર
કરવા ફરજીયાત બની ગયું. તરત જ વાળંદને બોલાવીને મુન્નાનાં માથાનું મુંડન
કરી દેવામાં આવ્યું. એનેસ્થેસીયા આપ્યા વગર જ ડૉક્ટરે ટાંકા લઈ લીધા.
ઘરે આવ્યા પછી અમિતાભે છાતી ફુલાવીને પિતાજીને કહ્યું, “જોયું ને! મને આટલું બધું વાગ્યું તો પણ હું રડ્યો નહીં!”
વરસો પછી ફિલ્મ ‘મર્દ’નાં એક દ્રશ્યમાં મહાનાયક આ જ વાતને પોતાનાં અલગ અંદાજમાં રજૂ કરવાનાં હતાં: “મર્દ કો દર્દ નહીં હોતા!”
આવી જ બીજી એક ઘટના પણ અમિતાભનાં બાળપણમાં બની હતી. અમિતાભની જીંદગીનાં સૌ પ્રથમ બે ગાઢ મિત્રો હતાં: નરેશ પોલ દાસ અને શશી મુર્ખજી.
>>>>>
... પણ વાગે તો સહન કરતા શીખની શોખ
નાનો
અમિતાભ સાંજનાં સમયે શશીનાં ઘરે રમવા જતો. ગિલ્લી-દંડા એ એની પ્રિય રમય
હતી. શશીનાં ઘરના બગીચામાં બે ઝાડ હતા; એક ઝાડ જામફળનું અને બીજું
જાંબુડાનું હતું. અમિતાભને કાચા જામફળ ખૂબ ભાવતા હતાં. એ રોજ જામફળનાં
વૃક્ષની ડાળી ઉપર બેસીને કાચા જામફળ ખાતો રહેતો હતો. પણ એક સાંજે એણે જાંબુ
ખાવાનું નક્કી કર્યું. એ જાંબુડાનાં વૃક્ષ પર ચડી ગયો. જેવો ડાળી ઉપર
બેસવા ગયો કે તરત જ ડાળ તૂટી પડી. અમિતાભ જમીન પર જઈ પડ્યો. એના હાથ-પગ
છોલાઈ ગયાં. કવિને આ વાતની જાણ થઈ; તરત જ તેઓ હાંફળા-ફાંફળા દોડી આવ્યાં.
અમિત લંગડાતો ચાલીને એમની સાથે ઘરે આવ્યો.
આ વખતે પણ અમિતાભે છાતી ફુલાવીને કહ્યું, “જોયુંને મને આટલું બધું વાગ્યું છે, તેમ છતાં હું રડતો નથી.”
કવિ
પિતાએ એને સમજાવ્યો, બેટા દુઃખ પડે કે વાગે ત્યારે માત્ર ન રડવું એમાં જ
બધી મહાનતા સમાઈ જાતી નથી. પહેલું ઘ્યાન એ વાતનું રાખવું જોઈએ કે આવું બને જ
નહીં. તને ખબર હોવી જોઈએ કે જાંબુડાનાં વૃક્ષની ડાળીઓ બટકણી હોય છે. એની
ઉપર ચડાય નહીં. જામફળીની ડાળી મજબૂત હોય છે. એની ઉપર બેસી શકાય.
આદત મુજબ આ વખતે પણ તેજીને દીકરાને ખખડાવી નાખ્યો, “હવે પછી ક્યારેય કોઈપણ ઝાડ ઉપર ચડતો નહીં!”
પિતાએ કહ્યું, “મુન્ના, વૃક્ષ પર ચડવું એ કંઈ ખરાબ નથી ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે પડી ન જવાય.”
પછી જીંદગી આખી ચાલે તેવો પાઠ કવિએ શીખવી દીધો, “બેટા, આટલું ધ્યાન રાખવા છતાં પણ જો વાગે તો સહન કરતાં શીખજે.”
અમિતાભ
બચ્ચનને જીંદગીમાં કંઈ કેટલાંય આરોહણો કર્યા, પડી જવાય એ વાતની સાવધાનીઓ
રાખી, છતાંયે ક્યારેય પડી ગયા. પણ દરેક પછડાટ વખતે પિતાજીની સલાહને યાદ
રાખીને એની ઉપર એમણે અમલ કરી જાણ્યો. ક્યારેય રડયા નહીં. ‘મર્દ કો કભી દર્દ
નહીં હોતા’ એ ફિલ્મી સંવાદને ફિલસૂફ પિતાનાં ચિંતનનો સ્પર્શ આપીને એમણે
જીવનનો સાર તારવી લીધો કે આ જગત તમારા હાસ્યમાં તો સાથ પૂરાવશે, પણ તમારા
આંસુ જોઈને કોઈ રડશે નહીં. માટે આપણી અંગત વેદના એક પણ અશ્રુબિંદુ ખેરવ્યા
વગર સહન કરતાં શિખી લેવું.
Comments
Post a Comment