નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

અમિતાભ બચ્ચન, પ્રકરણ - 35

એવું તે શું બન્યું કે ધમેન્દ્ર અમિતાભ સાથે આંખો પણ મેળવી શકતા નહોતા?

1975નું વર્ષ હતું. દેશમાં ઇંદિરાજી સ્થાપિત કટોકટી ચાલી રહી હતી. અટલજી, મોરારજીભાઇ, અડવાણીજીથી લઇને ચૌધરી ચરણસિંહ, નાનજી દેશમુખ, મધુ લિમયે સહિતના તમામ મુખ્ય નેતાઓ જેલમાં બંધ હતા. અખબારો ઉપર સેન્સરશિપ લાદવામાં આવી હતી. સામાન્ય પ્રજાના રોજીંદા જીવન પર કોઇ દેખીતી મોટી અસર પડી ન હતી,  પણ એક ન સમજી શકાય તેવો અજંપો જનતાના દિમાગમાં ધૂરાતો હતો. આઝાદીના પચીસ વર્ષ પૂરા માંડ થયા ત્યાં જ કાળા અંગ્રેજોની નવતર હકુમત આવી પડી એ વાત કોઇને પણ ગમી ન હતી.

યુવાનોની આંખોમાં લાલ દોરી અંકાયેલી હતી અને  બંધ મુઠ્ઠીમાં પથ્થરો હતા. માત્ર ચાર જ વર્ષ પહેલાં 1971નું યુધ્ધ જીતાડી આપનાર ઇંદિરાજીનાં મસ્તક ઉપર મતરૂપી પુષ્પોની અનરાધાર વૃષ્ટિ કરી દેનારી પ્રજા બંધ હોઠોમાં આક્રોશ છૂપાવીને એ વાતની પ્રતીક્ષા કરતી હતી કે પં.નહેરુની આ પ્રિયદર્શિની બીજી ચૂંટણી ક્યારે જાહેર કરે છે!

ભારતના કરોડો લોકોના મનમાં ધરબાયેલા આ રોષને વાચા આપવા માટે એક માધ્યમની, બહાનાની, નિમિત્તની જરૂર હતી. પછી એ ગમે તે સ્વરૂપે આવે, પણ આવે જરૂર. ગીત રૂપે, શેરી નાટક સ્વરૂપે, કાર્ટુનનો દેહ ધરીને કે વાર્તા-નવલકથાના વસ્ત્રો ધરીને. મેરે સીનેમેં નહીં તો તેરે સીનેમેં સહી; આગ કહીં ભી હો, મગર આગ હોની ચાહિયે.

અને આવા સમયે એક ફિલ્મ પ્રદર્શિત થઇ, જેનું નામ હતું 'શોલે'. દેશની જનતા આગ માગતી હતી, રમેશ સિપ્પી લબકારા લેતા ભડકાઓ લઇને આવ્યા. લોકોએ સિનેમાઘરો છલકાવી આપ્યા.

વિરેચન : ત્રાસ સામે તારણહાર

કોઇપણ કલાકાર કે કલાકૃતી માત્ર ત્યારે જ સફળ જાય છે, જ્યારે તે જે-તે સમયને અનુરૂપ હોય, કાળની માંગને પૂરી પાડતી હોય, દેશની જનતાની લાગણીને વાચા આપતી હોય. સ્વામી વિવેકાનંદ ફક્ત ઘોર ગુલામીના અંધકારમાં જન્મી શકે. મહાત્મા ગાંધી 1947 પછી જન્મ્યા હોત તો કદાચ કાયમ માટે મોહનદાસ જ બની રહ્યા હોત, કવિ પ્રદીપજીની કલમમાંથી 'એય મેરે વતન કે લોગો' જેવું બેનમુન અજરામર, આંખમાંથી આંસુ ટકાવી દેતું ગીત ન જ લખાયું હોત.

બીજા દ્રષ્ટાંતો જવા દઇએ; ખુદ અમિતાભની જ વાત કરીએ. આઝાદી પછીના પંદર-વીસ વર્ષ પછી દેશમાં જો મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચારનું સામ્રાજય ન વ્યાપ્યું હોત અને યુવાનોમાં એ વખતની 'સિસ્ટમ' સામે આક્રોશ ન પ્રગટ્યો હોત, તો કદાચ અમિતાભની અંદરના 'એંગ્રી યંગ મેન'ને સ્વીકૃતી ન મળી હોત.

'શોલે'માં ઠાકુરના સ્થાને દેશની જનતા હતી જે અન્યાયથી ત્રસ્ત હતી, ગબ્બરસિંહ એ એક એવી વ્યવસ્થાનું પ્રતિક હતો જેના અત્યાચારો સામે કોઇ કશું જ ન કરી શકે તેમ ન હતું. અને જય-વીરુ એ ત્રાસના કેન્દ્ર સામે જનતાના તારણહાર બનીને આવ્યા. પ્રજા જે કરવા ઇચ્છતી હતી, પણ કરી શકતી ન હતી, એ જય અને વીરુએ પડદા ઉપર કરી બતાવ્યું.

હું સેકન્ડ એમ.બી.બી.એસ.માં ભણતો હતો. મારા જીવનમાં પણ એક કરતાં વધારે ગબ્બરસિંહો હતા. કેન્ટીનવાળો પાણીવાળી ચા પીરસતો હતો, લોન્ડ્રીવાળો મારા કપડાં બાળી નાખતો હતો, હોસ્ટેલનો રેક્ટર શિયાળાની કડકડતી ઠંડીમાં પણ નહાવાનું પાણી ગરમ કરવા માટેનું ગીઝર વાપરવા દેતો ન હતો. અને આટલી બધી તકલીફો પાર કરીને જ્યારે અમે લેક્ચર ભરવા માટે દોડી જતા, ત્યારે પ્રોફેસર્સ અમને ક્લાસરૂમમાં ઘૂસવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેતા હતા. કારણ કે અમે એક મિનિટ જેટલા મોડા પડ્યા હતા.

અમારે દરેકને ધ્રુજાવી મૂકે તેવી ત્રાડ પાડીને કહી સંભળાવવું હતું: ''ગબ્બરસિંહ...! મૈં આ રહા હૂં!'' પણ હિંમત ન હતી. પડદા ઉપર હી-મેન ધરમની ત્રાડો અને જાંબાઝ અમિતાભની મર્દાનગી જોઇને અમારી લાગણીઓનું વિરેચન (કેથાર્સિસ) થઇ ગયું.

શોલેના 'સિક્રેટ્સ'

રમેશ સિપ્પીએ જ્યારે 'શોલે'ની સ્ટારકાસ્ટ નક્કી કરવાની શરૂઆત કરી, ત્યારે વીરુની ભૂમિકામાં ધમેન્દ્ર પ્રથમ નજરે જ પસંદ થઇ ગયા. કારણ બહુ સ્પષ્ટ હતું. 'શોલે'એ થોડાંક વર્ષો પહેલાં આવી ગયેલી અત્યંત સફળ ફિલ્મ 'મેરા ગાંવ મેરા દેશ'નું પુનરાવર્તન હતું. એમાં ડાકુનું નામ જબ્બરસિંહ હતું, સલીમ-જાવેદે 'શોલે'માં એનું નામ ગબ્બરસિંહ કરી નાખ્યું. જૂની ફિલ્મમાં ગ્રામવાસીઓને ડાકુના ત્રાસમાંથી બચાવવા માટે એક વીરપુરુષ આવે છે: ધમેન્દ્ર. 'શોલે'માં એકને બદલે બે વીરપુરુષોને મોકલી આપ્યા. ધમેન્દ્ર બંને ફિલ્મોમાં 'કોમન પર્સન' છે. આશા પારેખનું સ્થાન હેમા માલિનીએ લીધું. ઠાકુરનું પાત્ર નવું ઉમેરવામાં આવ્યું. 'મેરા ગાંવ'માં ડાકુ તરીકે વિનોદ ખન્ના દમદાર રહ્યો, તો 'શોલે'માં અમઝદખાન અવિસ્મરણીય બની ગયો.

સવાલ રહ્યો જયના પાત્ર માટે કલાકારની પસંદગીનો. કથા-લેખક સલીમ-જાવેદની ઇચ્છા અમિતાભને લેવાની હતી, પણ રમેશ સિપ્પીનો આગ્રહ શત્રુઘ્ન સિંહાને લેવાનો હતો. આ માટે શત્રુનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો. શત્રુએ સ્પષ્ટ ના સંભળાવી દીધી. એ વખતે એને ક્યાં ખબર હતી કે એ શું ગુમાવી રહ્યો છે?!

રમેશ સિપ્પીની આ ત્રીજી ફિલ્મ હતી. 'અંદાજ'માં શમ્મી કપૂર અને રાજેશ ખન્ના સામે સીમી અને હેમા માલિનીને લઇને તેઓ એક સફળ મલ્ટીસ્ટારર ફિલ્મ બનાવી ચૂક્યા હતા. એ પછી 'સીતા ઔર ગીતા'માં બે હેમા માલિનીઓ સાથે સંજીવકુમાર અને ધમેન્દ્રને લઇને બ્લોકબસ્ટર ફિલ્મ બનાવી ચૂક્યા હતા. આ જ કારણથી ત્રીજી ફિલ્મ 'શોલે'માં ધમેન્દ્ર, હેમા અને સંજીવની પસંદગી સુનિશ્ચિત હતી.

અમિતાભની 'ઝંઝીર' હજુ નિર્માણધીન હતી અને એમની ગણના અપશુકનિયાળ કલાકાર તરીકે થતી હતી. એક વાર તો એવી ઘટના બની જે જાણીને હસવું કે રડવું તેની જ આપણને સમજ ન પડે.

રમેશ સિપ્પીના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી. એમાં 'શોલે'ના તમામ કલાકારો હાજર હતા. અમિતાભને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પણ એ સાંજે એને ભયંકર તાવ આવેલો હોવાથી એ મોટા ભાગે રમેશજીના બેડરૂમમાં સૂતા રહ્યા હતા. બહારના ડ્રોઇંગરૂમમાં શરાબના દૌર અને ખાણી-પીણી ચાલી રહ્યા હતા. એવામાં કોઇકે પૂછ્યું, ''રમેશજી, પેલો અંદર સૂતો છે એને તો તમારી નવી ફિલ્મમાં લીધો નથી ને?''

''ના, હજુ સુધી તો નથી લીધો; કેમ આવું પૂછવું પડ્યું?'' રમેશ સિપ્પીએ કારણ પૂછ્યું.

''જોજો લેતા! તમારી ફિલ્મનો કચરો થઈ જશે.'' કહેનારે કહ્યું; બધાં હસી પડ્યા હતાં.

રમેશ સિપ્પીનો ઈરાદો શત્રુને જ લેવાનો હતો. શત્રુએ ના પાડી. એ વખતે તો બધાંને એવું લાગ્યું હતું કે શત્રુઘ્ન સિંહાનો અહમ ટકરાયો હશે માટે ના પાડી હશે. પણ ખરા કારણની જાણ તો વર્ષો પછી બધાને થવા પામી.

શત્રુઘ્ન સિંહા એ સમયે તાજા-તાજા જ વિલનગીરી છોડીને હીરો બનવાના પ્રયત્નોમાં લાગેલા હતા. એમની હીરો તરીકેની છાપ હજુ આકાર પામતી જતી હતી. આવામાં 'શોલે' જેવી મલ્ટીસ્ટાર ફિલ્મમાં કામ કરવાથી એમને નૂકશાન જવાનો ભય લાગ્યો હતો. સંજીવ કુમાર અને ધર્મેન્દ્રની હાજરીમાં પોતાના ભાગે કેટલું કામ આવશે એ વાતની એમને ચિંતા હતી. ધારો કે ફિલ્મ સફળ ગઈ, તો પણ એની સફળતાનો જશ વહેંચાઈ જશે એ પણ સ્પષ્ટ જ હતું.

જ્યારે ધર્મેન્દ્રએ બચ્ચનની ભલામણ કરી
શત્રુએ 'શોલે'માં કામ કરવાની ના પાડી દીધી. સલીમ-જાવેદ મનોમન રાજી થયા. એ તો શરૂથી જ જયનું પાત્ર અમિતાભને અપવા માગતા હતા. પણ એ બંને હોશિયાર સ્ક્રિપ્ટ રાઈટર હતા; એમને ખબર હતી કે સામેવાળાના દિમાગમાં ધારી અસર ઉપજાવી હોય તો શું કરવું જોઈએ!

એમણે અમિતાભને ખાનગીમાં સલાહ આપી, ''અમે તો એક વાર તારા માટે ભલામણ કરી ચૂક્યા છીએ. હવે તુ ધરમજી પાસે જા. એમને વિનંતી કર કે સિપી સાહેબ આગળ એ તારા માટે સિફારીશ કરે.''

અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચનનું જે નામ અને સ્થાન છે એને ધ્યાનમાં લેતા 'ભલામણ' અને 'સિફારીશ' જેવા શબ્દો હિણપત ભર્યા લાગે; પણ આ નક્કર હકીકત છે કે સલીમ-જાવેદની સલાહને માથે ચડાવીને એક દિવસ યુવાન અમિતાભ ગરમ-ધરમના ઘરે જઈ ચડ્યા. બે હાથ જોડીને એમનું અભિવાદન કર્યું; પછી વિનંતી કરી ''ધરમજી, હું આપને મારા મોટા ભાઈ માનીને વાત કરવા આવ્યો છું.''

ધરમજી રોજની પેઠે રાજાપાઠમાં હતા; નાનાભાઈ ઉપર વરસી પડ્યા, ''બોલ, શું ઈચ્છે છે?''

"શોલેમાં કામ."

"મળી જશે. પંજાબદા સિંહે વચન આપી દીધું. અને વચન પાળીયે બતાવ્યું. ધરમજીની ભલામણને લીધે જ રમેશ સિપ્પીએ જયની ભૂમિકા અમિતને આપી.

એક લાઈનર્સની ઉણપને જીતની યોજના બનાવી
'શોલે'માં કદાચ સૌથી ટૂંકા સંવાદો જયના ફાળે આવ્યા છે. એક માત્ર અપવાદને બાદ કરતાં અમિતાભના ભાગમાં લગભગ 'વન લાઈનર્સ' જ આવ્યા છે. (અપવાદ: જ્યારે અમિતાભ એના મિત્ર ધર્મેન્દ્ર માટે બસંતીનો હાથ માગવા મૌસીને મળવા જાય છે એ દ્રશ્યમાં એના ભાગે લાંબા સંવાદો લખાયા છે.) બાકી તો આખી ફિલ્મમાં 'મુજે તો સબ પુલિસવાલોંકી શકલ એક જૈસી હી લગતી હૈ...' સાલ્લા નૌટંકી!'...., જબ શરાબ ઊતરેગી, તો યે ભી નીચે ઊતર આયેગાં', અને 'તુમ્હારા નામ ક્યા હૈ, બસંતી?' જેવા એક-એક વાક્યના જ સંવાદો એના નસીબમાં આવ્યા છે.

ખૂબીની વાત એ છે કે 'શોલે'માં ગબ્બરસિંહને બાદ કરતાં માત્ર અમિતાભના આ 'વન લાઈનર્સ' જ લોકહૈયે પથ્થર પરની લકીરની જેમ અંકિત થઈ ગયા છે.

સારી ફિલ્મ એ નથી જેનું એકાદ પાસુ સારું હોય. મુગલે આઝમ,  મધુમતી, સાહિબ-બીબી-ગુલામ કે ઇવન હમ આપ કે હૈં કોન જેવી સારી, સ્વચ્છ અને સફળ ફિલ્મોમાં તમે જોશો કે, નાનાં-મોટા તમામ પાત્રો યાદગાર હતા. એવું જ 'શોલે'ની બાબતમાં પણ થયું. માત્ર ઠાકુર, ગબ્બર કે જય, વીરુ અને બસંતી જેવા મુખ્ય પાત્રો જ નહીં, પણ અંગ્રેજોના જમાનાનો જેલર બનતો અસરાની, સુરમા ભોપાલીના પાત્રમાં જગદિપ, ડાકુ ગબ્બરસિંહનો સાગરિત કાલિયા કે, સાંભા, મુસ્લિમ ચાચા એ.કે.હંગલ બધેબધાં અમર થઇ ગયા છે. માનવીઓની વાત બાજુ પર રાખો, ધન્નો ઘોડીનાં પાત્રમાં પ્રાણી પણ દેશના ઘરે-ઘરે જાણીતું નામ બની ગયું છે.

શું ઘર્મેન્દ્રએ બચ્ચનની જાન લેવાનો કોશિશ કરી?
ફિલ્મો ટિકીટબારી ઉપર તો ટકંશાળ પાડી જ, પરંતુ વિવેચકોની પણ પ્રશંસા મેળવી બતાવી. લગભગ તમામ ફિલ્મી પંડીતોના મતે 'શોલે'માં સુંદર અભિનય સંજીવકુમાર, અમઝદખાન અને અમિતાભનો રહ્યો. બધાએ ધર્મેન્દ્રના અભિનયને સાવ સામાન્ય અને ચિલાચાલું ગણાવ્યો.

આ બધાં 'રીવ્યુઝ' વાંચીને ધરમજીને ઉંડું દુઃખ થયું.  એમને ઘડીભર માટે એવું, લાગ્યું હશે કે પોતે અમિતાભની સિફારીશ ન કરી હોત તો સારુ થાત. પણ એ વિશાળ હૃદયનો માણસ હતો. જ્યારે શરાબ પીવા બેસે ત્યારે પટીયાલા બેગ બનાવીને પીવે. બહુ ઝડપથી એમણે પોતાનું દુઃખ વિસારે પાડી દીધું.

પણ 'શોલે' ગુમાવવાનું જે દુઃખ શત્રુઘ્ન સિંહાને પહોંચ્યું એ આજ સુધી બરકરાર છે.

'શોલે'ના શૂટીંગ  દરમિયાન એક દુર્ઘટના બનતાં સહેજમાં રહી ગઇ, ધરમપાજી ચિક્કાર નશામાં હતા અને એમના હાથમાં પિસ્તોલ હતી. હેમાને પિસ્તોલ ચલાવવાનું શિખવવાનું દ્રશ્ય હતું. અમિતાભ બાજુમાં ઝાડ નીચે સૂતાં-સૂંતા ટકોર કરે છે: '' કઇયોં કો તો ઇસને દો ઘંટેમેં સિખા દિયા હેં...''


અચાનક શું બની ગયું? ધરમજીએ ટ્રીગર દબાવી દીધું અને ગોળી છૂટી. અમિતજીના કાનની સાવ લગોલગથી પસાર થઇ ગઇ. જો માત્ર થોડોંક સેન્ટીમીટર્સ વધુ નજીક રહી હોત, તો અમિતાભની ખોપરી વિંધાઇ ગઇ હોત.

આવું શાથી બન્યું એ કોઇ સમજી ન શક્યું. ધરમજી ગુસ્સામાં હતા કે નશામાં? જો કે, નશો ઉતરી ગયા પછી ધરમજી ખૂબ શરમિંદા બની ગયા હતા, કેટલાંક દિવસો સુધી અમિતાભની આંખો સાથે આંખો મેળવી શક્યાં ન હતા.

અમિતાભ 'શોલે'ની ભૂમિકા માટે ઘર્મેન્દ્રે કરેલી ભલામણને આજે પણ ભૂલ્યા નથી. જ્યારે 'આઇફા એવોર્ડ ફંક્શન'માં એમની હકુમત પ્રવર્તતી હતી, ત્યારે ખાસ યાદ રાખીને એમણે ધર્મેન્દ્રને 'લાઇફ ટાઇમ એચીવમેન્ટ  એવોર્ડ' આપવાનો નિર્ણય મંજુર કરાવ્યો હતો. ધરમજીના નામની જાહેરાત પણ એમણે જ કરી, એમની પ્રશંસામાં ઉત્તમોત્તમ વાક્યો કહ્યાં, પછી ધરમજીને મંચ પર પધારવાની વિનંતી કરી.

ધરમજી ક્યારે કોઇની આમન્યામાં રાખવામાં માને છે? તેઓ આ પ્રસંગે પણ 'રાજાપાઠ'માં જ પગથિયા ચડીને મંચ ઉપર આવ્યા, પછી 'માઇક' હાથમાં લઇને એમની વીરુશૈલીમાં બાફવાનું શરૂ કર્યું, ''ભાઇઓ  ઔર બહેનો! મૈં યે નહીં કહેના ચાહતા હું કિ મુજમેં ઐસી કોઇ હૈસિયત હૈ નહીં,  યે સાલને મેરે બારેમેં જો ઇતની સારી અચ્છી-અચ્છી બાતેં કરી હૈં, વો ઇસલિયે કિ યે સાલા મુજસે બહોત પ્યાર કરતા હૈં....'' વગેરે...વગેરે...!

ઓડિયન્સ શ્વાસ થંભાવીને સાંભળી રહ્યું હતું. સદીના મહાનાયક માટે 'સાલા' જેવો અભદ્ર શબ્દપ્રયોગ થઇ રહ્યો હતો. હવે બિગ-બી શું કરશે?

બિગ-બીએ કશું જ ન કર્યું. નત મસ્તકે, મંદ-મંદ સ્મિત સાથે 'મોટાભાઇ'ના મુખેથી ઝરતું ગાલીપ્રદાન સ્વિકારી રહ્યાં. પછી જય અન વીરૂ ભેટી પડ્યાં. ધરમજીએ સાબિત કરી દીધું કે આ જગતમાં જે મિત્ર ઉપકાર કરી જાણે છે એને જ ગાળો ભાંડવાનો અધિકાર મળે છે.

શોલેમાં બચ્ચન પરીવારની બે નહીં ત્રણ વ્યક્તિ!

'શોલે'ની શરૂઆત થઇ, ત્યારે અમિતજી જરાક અતડા અને આત્મવિશ્વાસ વિહોણા દેખાયા હતા, પણ ફિલ્મ સહેજ આગળ વધી, ત્યારે 'ઝંઝીર' રીલીઝ થઇ અને દેશભરમાં અમિતાભના નામનું વાવાઝોડું પ્રસરી ગયું. હવે 'સેટ' પરનો અમિતાભ સાવ જૂદો જ બની ગયો. ધર્મેન્દ્ર અને સંજીવકુમાર જેવા જામેલા અભિનેતાઓની સામે એ ટટ્ટાર મસ્તક રાખીને વાત કરવાનું શિખી ગયો હતો.

બહુ ઓછા લોકોએ વાત જાણે છે કે, 'શોલે'માં બચ્ચન પરિવારની બે નહીં, પણ ત્રણ વ્યક્તિઓ સામેલ હતી! જયાજીનાં ગર્ભાશયમાં એક નવો જીવ પાંગરી રહ્યો હતો. જ્યારે હોળી-ઘૂળેટીનો તહેવાર ઉજવતી જયા એના પિતાજીની બગીની પાછળ દોડે છે અને ચિલ્લાય છેઃ 'બુરા ન માનો...હોલી હે...!' ત્યારે જયાજી ગર્ભવતી હતાં. પછીથી જયાનો 'રોલ' ટૂંકાવી દેવામાં આવ્યો હતો.

13મી માર્ચ, 1974. અમિતાભ બેંગલોરમાં 'શોલે'ના શૂટીંગ માટે વ્યસ્ત હતા, ત્યારે એમના પિતાજીનો ફોન આવ્યો, "જલ્દી ઘરે આવી જા! જયાને મેટરનિટી હોમમાં દાખલ કરવી પડી છે. ગમે તે ઘડીએ બાળકનો જન્મ થઈ શકે છે.''

ત્યારે ને ત્યારે તો નીકળી જવાનું શક્ય ન બન્યું. બીજા દિવસે વિમાન પકડીને અમિતજી મુંબઈ પહોંચ્યા; જયાએ એક સુંદર બાળકીને જન્મ આપી દીધો હતો. બાબુજી અને તેજીજી દીકરીને મેળવીને અત્યંત ખુશ થયા હતા. તેજીની ખુદની ઇચ્છા દીકરીને જન્મ આપવાની હતી, તે આટલાં વર્ષો બાદ બીજા સ્વરૂપે સિદ્ધ થઇ હતી.

કવિ બચ્ચનજીએ નવજાત પોત્રીનું નામકરણ કર્યું - શ્વેતાંબરા. એનો અર્થ દેવી સરસ્વતી થાય છે. શ્વેતા. જે દિવસે જન્મીએ તારીખ ચૌદમી માર્ચ હતી.

જયાનાં પિયરપક્ષમાં પણ દૌહિત્રીનાં આગમનથી ખુશીની લહેર દોડી ગઇ હતી. સૌનું માનવું એવું હતું કે, પ્રથમ સંતાન જો દિકરી હોય તો એ એખ શુભસંકેત ગણાય. ખરેખર શ્વેતામાં 'મંગલ'માં રહેતા બચ્ચન પરીવારના અમંગળ દિવસો સમાપ્ત થતા હતા. શુભસંકેતોની શરૂઆત તો જ્યારથી શ્વેતા ગર્ભરૂપે રહી ત્યારથી થવા માંડી હતી.

આજે પણ જયાને અભિષેક કરતાંયે શ્વેતા વધારે વહાલી છે. જયાજીનું માનવું એવું છે કે શ્વેતાની આંખો એનાં પિતાની ઉપર ગઇ છે. એમાં સાગરનું ઉંડાણ એને લોહચુંબકનું ખેંચાણ છે.

Comments

Popular posts from this blog

નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

પોશાક હોય, ઘરેણાં હોય, મેકઅપ હોય અથવા ઘરની સજાવટનો સામાન જ કેમ ના હોય, વર્તમાન યુગમાં ફેશનમાં ઝડપથી નિતનવો બદલાવ જોવા મળી રહ્યો છે. ઘરની સજાવટમાં ફેરફાર આંખોને નવીનતાની સાથે સાથે પરિવર્તનની પણ અનુભૂતિ કરાવે છે. પછી તે આઘુનિક પઘ્ધતિમાં હોય કે પરંપરાગત પડદા, સોફાના કવર, બેડશીટ, કુશન કવર વગેરેના રંગો અને ફેબ્રિકમાં ફેરફાર લાવીને ઘરની આંતરિક સજાવટમાં પરિવર્તન લાવી શકાય છે. આજકાલ બજારમાં અપહોલ્સ્ટ્રીના વિવિધ રંગો અને ડિઝાઈનો જોવા મળે છે જેને તમે તમારી સમજ, કલ્પનાશક્તિ અને બજેટને ઘ્યાનમાં રાખી ઘરને સુંદર તથા મનમોહક રૂપ આપી શકો છો. પરંપરાગત સજાવટમાં ભારતીય કાપડના સોફાકવર, બેડશીટ, ટેબલકલોથ, કુશન કવર અને પડદા તરીકે ઉપયોગ કરવાની પરંપરા ઘણી જૂની છે. પરંપરાગત હસ્તકલાના નમૂનાઓ આઘુનિક ઘરોમાં એક નવા અંદાજમાં સજાવેલા જોઈ શકાય છે. ઘરને આકર્ષક બનાવવા માટે જૂની બનારસી, જરદોશી અથવા સિલ્ક સાડીઓ ઉપરાંત ટિશ્યૂ વર્કની સાડીઓનો આજકાલ વધારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આ રીતે સજાવટ કરેલા ઘરને ડિઝાઈનર હોમનું નામ આપવામાં આવે છે. આ માટે તમારે તમારી જૂની સાડીઓ અને દુપટ્ટાનો સંગ્રહ કરવો પડે છે. ઘ્યાન રાખો કે કાપડની ચમક અને રંગ નવા જેવા જ હોય કારણ કે તે તમારા ઘરની સુંદરતાને સોહામણી બનાવશે. જો દીવાલનો રંગ લાઈટ હોય તો ડાર્ક રંગની સિલ્ક સાડીઓથી તૈયાર કરેલા ટેપેસ્ટ્રી વઘુ આકર્ષક લાગે છે. તેવી જ રીતે સોનેરી જરદોશી વર્કના ચણિયાનો સોફાની બ્લેક અપહોલ્સ્ટ્રી પર કવરના રૂપમાં ઉપયોગ કરી શકો છો. ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હોય અને જૂના પડદા ગંદા હોય તો તેના બદલે જૂની બનારસી સાડી ગડી કરી એવી રીતે લગાવો કે લોકોને કોઈ ફેશન બુટિકમાં આવ્યાનો અહેસાસ થાય. સિલ્કના રંગબેરંગી કાપડની પટ્ટીઓમાંથી તમે આકર્ષક કુશનકવર તૈયાર કરી ઘરને એક નવી સ્ટાઈલથી સજાવી શકો છો. તે ઉપરાંત સિલ્ક પર જરદોશી વર્ક કરેલા કાપડને લાકડાની ફ્રેમ પર લગાવી તેને એન્ટિક લુક પણ આપી શકો છો. આછા પીળા રંગની દીવાલ પર લગાવવામાં આવતાં ઘરનું રૂપ જ બદલાઈ જશે. સોફાની પાછળ વોલ પેપર અથવા કુદરતી દૃશ્યોના બદલે સિલ્કની જરીભરતવાળી સાડીનો ઉપયોગ કરી શકો છો. આ તો ઘરને કલાત્મક રીતે સજાવવાની વાત થઈ. આ સિવાય પણ જો તમારી ઈચ્છા હોય તો પડદા, શેતરંજી જેવા મોટા ફેબ્રિકમાંથી બનેલા કાપડનો પણ ઘરની સજાવટ માટે ઉપયોગ કરી શકો છો. આમ પણ આજકાલ હેન્ડલૂમ ફર્નિશંિગ વઘુ ચલણમાં છે. દિલ્હી હાટ, કોટેજ એમ્પોરિયમનું કાશ્મીરી ફૂલવેલનું વર્ક, પેચ વર્ક, રાજસ્થાની મિરર વર્ક, બંધેજ, ટાઈ એન્ડ ડાઈના ફેબ્રિક હસ્તકલાની સાથે સાથે પરંપરાને પણ દર્શાવે છે અને તેની સાથે જ ઘરના કંટાળાજનક અને નીરસ ખૂણાઓમાં આકર્ષણ અને રોમાંચ ભરી દે છે. બજારમાં કોટન સિવાય સિન્થેટિકને મળતું આવતું કાપડ પણ અપહોલ્સ્ટ્રી માટે મળે છે. પછી તે એલ્પ્સની વિસ્ટાસ હોમ ફેશન જ કેમ ન હોય. તે જુદી જુદી મોસમને અનુકૂળ અનેક રંગોના ફેબ્રિકમાં મળે છે. પડદા માટે પોલિએસ્ટર, નેટના પડદા, સિલ્ક, રોસિલ્કનું ફેબ્રિક વાપરવું યોગ્ય છે. આ પડદાનું કાપડ એક મીટરના રૂપિયા ૫૦ થી ૨૫૦ સુધીની કંિમતમાં મળતું હોય છે. તે સિવાય આજકાલ પાર્ટિશન તરકે સૂતળીના પડદાનો ઘરોમાં ઉપયોગ વધી ગયો છે. સોફાને સજાવવા માટે આવા ફેબ્રિકની પણ જરૂર હોય છે કે જે મજબૂત હોય તેથી જ જેકાર્ડ પોલિએસ્ટર જે કાર્ડના સોફા માટે યોગ્ય ફેબ્રિક છે. આઘુનિક હોમ ફર્નિશંિગ માટે કોટનનો ભાગ હોય તેવું લાઈક્રા ફેબ્રિક ઉપયોગમાં લેવાય છે. આમાં મોટા ભાગે સફેદ, ચેકમેટ, ફ્રોસ્ટેડ ગ્લાસ કવર ગ્રાહકોને આકર્ષિત કરે છે. બેડસ્પ્રેડમાં પણ બજારમાં અનેક વિવિધતા જોવા મળે છે. વર્તમાનમાં બેડકવરમાં ભભકાદાર રંગો જેવા કે નારંગી, પીળો, વાદળી, લાલ રંગની ફેશન જોવા મળે છે. જ્યાં સુધી ફેબ્રિકનો પ્રશ્ન છે તમે કોટન, સિલ્ક, સિલ્ક ઓરગેંજાનો ઉપયોગ કરી શકો છો. તેમાં હજારો વિવિધતા જોવા મળે છે જે દરેક કંિમતમાં મળી રહે છે. ઊંચી કંિમતમાં કાશ્મીરી, દક્ષિણના પટોળા, બનારસન બ્રોકેડ, સાટીન, ફૂલવેલના વર્ક કરેલા બેડકવર, લેસ વર્કના બેડકવર પણ મળી રહે છે. આ સિવાય પણ તમે તમારા ઘરને સજાવવા માટે બજારમાં મળતા ડિઝાઈનર સાધન સામગ્રીનો ઉપયોગ પણ કરી શકો છો અને ઘરના સોફા, દીવાલો, પડદા, કુશનકવર તથા બેડકવરને બદલીને ઘરને નવું રૂપ આપી શકો છો. પસંદ અને પોકેટ તમારું છે. તમે થોડી કલ્પનાશક્તિ અને રંગોની પસંદગીથી તમારા ઘરને ડિઝાઈનર અને મનભાવન રૂપ આપી શકો છો.

LIC નો IPO ક્યારે આવશે? સરકાર આ અઠવાડિયે નક્કી થઇ જશે